PM MODI અમેરિકાથી EGYPT જવા રવાના, પ્રથમ વિશ્વયુદ્ધના ભારતીય શહિદોને આપશે શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાર દિવસીય અમેરિકા પ્રવાસ પૂર્ણ થયો છે. શનિવારે પીએમ મોદી અમેરિકાથી ઇજિપ્તની રાજધાની કૈરો જવા રવાના થયા હતા. પીએમ મોદી આગામી બે દિવસ ઇજિપ્તના પ્રવાસે છે.પીએમ મોદીની આ મુલાકાત ભારત અને ઈજિપ્તના સંબંધોની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. વડાપ્રધાન શનિવારે (24 જૂન) ઇજિપ્તની રાજધાની કૈરોમાં લગભગ 1,000 વર્ષ જૂની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે. જે ભારતના દાઉદી બોહરા(Dawoodi Bohra) મુસ્લિમો માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ છે.
વડાપ્રધાન મોદીના દાઉદી બોહરા સમુદાય સાથે વર્ષો જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધો છે. ઇજિપ્તની સરકારના પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, મસ્જિદ રિનોવેશન પછી ફરીથી ખોલવામાં આવી હતી જેને પૂર્ણ કરવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો. આ કામમાં દાઉદી બોહરા સમુદાયે પણ મદદ કરી છે. પીએમ મોદીએ ઘણીવાર કહ્યું છે કે દાઉદી બોહરાએ ગુજરાતમાં ઘણી વખત તેમની મદદ કરી છે.
દાઉદી બોહરા સમુદાય સાથે પીએમના ખાસ સંબંધ
2011 માં, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, નરેન્દ્ર મોદીએ દાઉદી બોહરા સમુદાયના તત્કાલિન ધાર્મિક વડા સૈયદના બુરહાનુદ્દીનના 100મા જન્મદિવસની ઉજવણી માટે સમુદાયને આમંત્રણ આપ્યું હતું. 2014 માં તેમના મૃત્યુ પછી, પીએમ મોદી તેમના પુત્ર અને અનુગામી સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પ્રત્યે શોક વ્યક્ત કરવા માટે મુંબઈ પણ ગયા હતા. 2015 માં, પીએમ મોદી ફરીથી સમુદાયના વર્તમાન ધાર્મિક વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને મળ્યા. જેમની સાથે તેના હંમેશા મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે.
ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે
પીએમ મોદી કૈરોમાં હેલીઓપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ કબ્રસ્તાનની મુલાકાત લેશે, જે એક પવિત્ર સ્થળ છે જે ભારતીય સેનાના લગભગ 4,000 સૈનિકોના સ્મારક તરીકે સેવા આપે છે જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં સેવા આપી હતી અને મૃત્યુ પામ્યા હતા. પીએમ મોદી અહીં ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.
આ સફરને ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહી છે
ઇજિપ્તના રાજદૂત વાએલ મોહમ્મદ અવદ હામેદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇજિપ્તની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહી છે. જેમાં બંને પક્ષો સુરક્ષાથી લઈને વેપાર અને રોકાણ સુધીના ક્ષેત્રોમાં સહયોગ વધારશે તેવી અપેક્ષા છે. મડિયા રિપોર્ટ અનુસાર હમીદે જણાવ્યું હતું કે સૈન્ય સાધનોના સહ-ઉત્પાદન ઉપરાંત, બંને પક્ષો સુએઝ કેનાલ ઈકોનોમિક ઝોનમાં ભારત માટે સમર્પિત સ્લોટની ઈજિપ્તની ઓફર અંગે ચર્ચા કરશે.
ઇજિપ્તના રાજદૂતે શું કહ્યું?
તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાનની ઇજિપ્તની છેલ્લી દ્વિપક્ષીય મુલાકાત 1997માં હતી. તે સમયે ઇજિપ્ત અને ભારતનું નેતૃત્વ અલગ હતું અને વિશ્વ અલગ હતું. એક રાજદૂત તરીકે, એ જોઈને મારા માટે નિરાશાજનક હતી કે ઈજિપ્ત-ભારત સંબંધો, જે પરંપરાગત રીતે ખૂબ જ મજબૂત હતા, તે 1950 અને 1960ના દાયકામાં જે ગતિ હતી તે જ ગતિ સાથે ચાલુ રહી ન હતી. કમનસીબે, 1990 અને આ સદીના પ્રથમ બે દાયકામાં, આ સંબંધોમાં વધુ પ્રગતિ થઈ નથી.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હતા
ઈજિપ્તના રાજદૂતે કહ્યું કે હવે બંને દેશ નજીક આવી રહ્યા છે. 2022 માં, આપણા રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે વડા પ્રધાન મોદી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. હું તેને ગેમ ચેન્જર તરીકે જોઉં છું. વડા પ્રધાન મોદી અને અમારા રાષ્ટ્રપતિ, બંને નેતાઓની પ્રાથમિકતાઓ સમાન છે- આધુનિકીકરણ, ઔદ્યોગિકીકરણ, રોજગાર નિર્માણ, વિકાસ અને તેમના દેશોની પર્યાવરણીય જાગૃતિ. ઇજિપ્તને પણ ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ મહેમાન દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ક્ષેત્રોમાં ભારત અને ઈજિપ્ત વચ્ચે ડીલ થઈ શકે છે
પીએમની મુલાકાત દરમિયાન થનારી ડીલ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, કૃષિ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, માહિતી ટેકનોલોજી, વેપાર અને સંસ્કૃતિ પર ચાર-પાંચ કરારો થયા છે, જે આપણા સંબંધોનું ખૂબ મહત્વનું પાસું છે. અમે વ્યૂહાત્મક ભાગીદારી કરાર તૈયાર કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ અને મુલાકાત દરમિયાન તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
આપણ વાંચો -જ્યારે પણ ભારત મજબૂત બને છે ત્યારે વિશ્વ મજબૂત બને છે : કેનેડી સેન્ટરમાં PM મોદી