Nadiad : રાજ્યમાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, ફ્રૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગે દરોડો પાડી કાર્યવાહી કરી
- રાજ્યમાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
- નડિયાદ ડાકોર રોડ ઉપર ભેળસેળ કરતી ઘી ફેક્ટરી પકડાઈ
- ક્ષેમકલ્યાણીના નામથી ચાલતી ફેકટરીમાં ભેળસેળ યુકત ઘી બનાવાતું
નડિયાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ઘી ની ફેક્ટરી ઝડપી છે. નડિયાદ-ડાકોર રોડ ઉપર ભેળસેળ કરતી ઘી ની ફેક્ટરી પકડાવા પામી હતી. ક્ષેમ કલ્યાણીના નામથી ચાલતી ફેક્ટરીમાં ભેળસેળ યુક્ત ઘી બનાવાતું હતું. સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી ઘી નો કાળો કારોબાર ઝડપાયો હતો. 3109 કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ ગાંધીનગર મોકલ્યા હતા. 8 લાખ 50 હજાર રૂપિયાનું શંકાસ્પદ ઘી નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
કોશિયા એ ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડીઆદ દ્વારા તારીખ: ૨૬/૦૩/૨૦૨૫ના રોજ મે. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ, બ્લોક ૮૯૩-૧-૨, ગોડાઉન નં. ૩ મુ. સલુણ તળપદ તા. નડીઆદ જી.ખેડા ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં સ્થળ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢી ના જવાબદાર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીને હાજર રાખી સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ ઘી (શ્રી કલ્યાણી બ્રાન્ડ) ઘી માં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફલેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્રારા કાયદા હેઠળની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad : અમદાવાદીઓ ચેતજો..! આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો
ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવ્યા
દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં કલ્યાણી બ્રાન્ડ ૧૫ કિગ્રાના ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવેલ. તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફલેવરનો પણ નમુના લેવામાં આવેલ. વધુમાં ઉક્ત ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે ૧૫૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૫.૨૫ લાખ), બટર ઓઈલ નો ૧૬૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૩.૫ લાખ) અને ઘી ની ફ્લેવર નો ૧ લીટર જથ્થો (કિંમત: રૂ. ૩૬૦૦) એમ કૂલ ૩૧૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૮.૭૫ લાખ જેટલી થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ ૩ (ત્રણ) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
આ પણ વાંચોઃ Anand : કથા વચ્ચે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી
લાયસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ
વધુમાં ઉપરોક્ત પેઢી વારંવાર ભેળસેળ ની ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ખેડા દ્વારા પેઢી દ્વારા આવી ગુનાહીત પ્રવૃતિ ફરી ન આચરી શકે તે અર્થે પેઢીને એફ.એસ.એસ.એ. લાઈસન્સ નં. ૧૦૭૨૧૦૧૨૦૦૦૧૫૧ નુ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઉક્ત વેપારી પર ઘીમાં ભેળસેળ માટેના બે અલગ-અલગ એડજ્યુડીકેશન કેસમાં અધિક નિવાસી કલેકટર, ખેડા દ્વારા રુ. ૨ લાખનો દંડ ની સજા અગાઉ પણ થઇ ચૂકેલ છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.
આ પણ વાંચોઃ Morbi : ભાજપનાં બે નેતાઓ વચ્ચે તું...તું....મે...મે.... થઈ, વીડિયો સો. મીડિયા પર વાયરલ