મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી, વધુ એક કેસમાં દોષી જાહેર, થઈ શકે છે આ આકરી સજા
જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીની મુશ્કેલીમાં વધારો થયો છે. મુખ્તાર અંસારીને વધુ એક મામલામાં એમપી-એમએલએ કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો છે. વારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને કોલસા વેપારી નંદ કિશોર રૂંગટાના ભાઈ મહાવીર પ્રસાદ રૂંગટાને ધમકી આપવાના કેસમાં શુક્રવારે દોષી જાહેર કર્યો છે. માહિતી છે કે આ કેસમાં મુખ્તાર અંસારીને સાડા 5 વર્ષની જેલની સજા અને સાથે જ 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. જણાવી દઈએ કે, હાલમાં મુખ્તાર અંસારી બાંદા જેલમાં કેદ છે. 5 ડિસેમ્બરે સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ વર્ષની શરૂઆતમાં વારાણસી કોર્ટે ચર્ચિત અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી હતી. ભેલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જવાહર નગર કોલોનીના રહેવાસી અને કોલસા વેપારી નંદ કિશોર રૂંગટાનું 22 જાન્યુઆરી, 1997માં અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમનો મૃતદેહ પ્રયાગરાજના ઝુંસીમાં મળી આવ્યો હતો. દરમિયાન 5 નવેમ્બર, 1997ની સાંજે નંદ કિશોર રૂંગટાના ભાઈ મહાવીર પ્રસાદ રૂંગટાને ફોન પર ધમકી મળી હતી. કહેવાય છે કે આ અપહરણ કાંડમાં પોલીસ અને સીબીઆઈ પર હસ્તક્ષેપ ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બર, 1997ના રોજ મહાવીર પ્રસાદની ફરિયાદ પર ભેલુપુર પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારી વિરુદ્ધ ધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - ED: દિલ્હી NCR અને પંજાબમાં ED સક્રિય , ચંદીગઢ સ્થિત ફાર્મા કંપનીમાં પાડ્યા દરોડા