MLA કાંતિ અમૃતિયા અને Builder જેરામ કુંડારીયા વચ્ચે સમાધાન થઈ ગયું ?
અહેવાલ - બંકિમ પટેલ , અમદાવાદ
રાજકોટના જાણીતા વયોવૃદ્ધ બિલ્ડર જેરામ કુંડારીયા (Jeram Kundariya Builder) એ કરેલા આપઘાતના પ્રયાસ બાદ ભાજપના નેતા સહિત અનેક મોટા માથાઓના નામ પ્રકરણમાં સામે આવ્યા હતા. રાજકોટ પોલીસે (Rajkot Police) જેરામ કુંડારીયાની સ્યૂસાઈડ નોટ ગાયબ કરી દીધી હોવાની ચર્ચા બાદ હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કથિત સ્યૂસાઈડ નોટમાં મોરબીના કમળછાપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (MLA Kanitllal Amrutiya) અને રાજકોટના સરકારી તંત્રના વહીવટદાર તરીકે પંકાયેલા વસંત ત્રંબકલાલ તુરખીયા (Vasant Turakhiya) ના નામ સામે આવતા સૌરાષ્ટ્રમાં આ મુદ્દો છેલ્લાં એક સપ્તાહથી ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. રાજકોટ પોલીસે (Rajkot Police) ભાજપના ધારાસભ્ય અને તંત્રના વહીવટદાર વસંત તુરખીયા પ્રત્યે પોતાની ફરજ બેખૂબી નિભાવી છે. આપઘાતનો પ્રયાસ કર્યાના બારમા દિવસે જેરામ કુંડારીયાએ એક વીડિયો સોશીયલ મીડીયાના માધ્યમથી વાઈરલ કર્યો છે. જેમાં તેમણે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે મારે કોઈ ફરિયાદ નથી, તેમની સામાજિક પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવી વાતો થાય છે તે તદ્દન ખોટી છે.
કોર્ટની ભાષાનો સ્ક્રિપ્ટમાં ઉપયોગ
મોબાઈલ ફોનના કેમેરા સામે જોઈને જેરામ કુંડારીયાએ બોલેલી સ્ક્રિપ્ટમાં કોર્ટની ભાષાનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જેરામભાઈએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આજરોજ કોઈના દાબ દબાણ વિના સમજણપૂર્વક કહી રહ્યો છું. મારા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વિશે સોશીયલ મીડિયામાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કાંતિભાઈ સામે મારી કોઈ ફરિયાદ નથી. એમની સામાજિક પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવી વાતો થાય છે તે તદ્દન ખોટી છે. કાંતિભાઈ લોકોને સાથ-સહકાર આપી મદદરૂપ થાય તેવી વ્યક્તિ છે, જેનો મને અનુભવ છે. મોરબી પુલ દુર્ઘટના ટાણે કાંતિભાઈ અમૃતિયાએ કરેલા બચાવ કાર્યની નોંધ નરેન્દ્ર મોદીએ લીધી છે. આવા કાંતિભાઈ કોઈનું ખરાબ વિચારી ના શકે. વિગેરે... વિગેરે...
સ્યૂસાઈડ નોટમાં પ્રથમ આક્ષેપિત અમૃતિયા
જેરામ કુંડારીયાના આપઘાતના પ્રયાસ બાદ રાજકોટ પોલીસે બાર કલાકમાં એક પાનાની FIR ચોપડે નોંધી દીધી હતી. જેરામ કુંડારીયાએ લખેલી કથિત સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જેમાં મોરબીની BJP MLA કાંતિ અમૃતિયા સાથેની ઉમા ટાઉનશીપ (Morbi Uma Township) માં કરેલી 12 વર્ષ પહેલાંની ભાગીદારી, ચીરીપાલ ગ્રુપ (Chiripal Group) તરફથી દસ્તાવેજ નહીં કરી આપવાના બહાના, 6500 ફૂટ લેવાની નીકળતી જમીન અને 12 વર્ષ પહેલાં 16 ટકા ભાગમાં સાથે બનાવેલા 9 બંગલામાં જમીનનો દસ્તાવેજ કરી દેવાતો નથી તેમજ બંગલા વણ વેચાયેલા પડ્યા છે. આ તમામ આરોપ કાંતિલાલ અમૃતિયા પર લગાવવામાં આવ્યા છે.
વાયરલ સ્યૂસાઈડ નોટ સાચી કે ખોટી?
70 વર્ષીય બિલ્ડરે કરેલા આપઘાતના પ્રયાસ બાદ પોલીસે કરેલી કાર્યવાહી અને નોંધેલી ફરિયાદ હજુ પણ વિવાદોના ઘેરામાં જ છે. ગત 6 એપ્રિલના રોજ રાજકોટ કાલાવડ રોડ પર રોયલ પાર્ક-3 સનસાઈટ બિલ્ડીંગમાં આવેલા નિવાસ સ્થાને જેરામભાઈએ ઊંઘની ગોળીઓ ખાઈ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફરિયાદના બેએક દિવસ બાદ વાઈરલ થયેલી કથિત સ્યૂસાઈડ નોટમાં દર્શાવાયેલા આક્ષેપિતોના નામ અને આરોપો પૈકી મોટા ભાગના પોલીસ ફરિયાદમાં સમાવી લેવાયા હતા. જ્યારે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સરકારી તંત્રના ખાનગી વહીવટદાર તરીકે રાજકોટમાં પંકાયેલા વસંત તુરખીયાના નામ FIR માંથી ગાયબ કરી દેવાયા. કથિત સ્યૂસાઈડ નોટ સાચી છે કે ખોટી તે મામલે હજુ સુધી રાજકોટ પોલીસ અથવા જેરામ કુંડારીયાએ જરા સરખો પણ ફોડ પાડ્યો નથી.
આપણ વાંચો- રાજકોટ ભાજપમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 15 સભ્યોના અચાનક લઈ લેવાયા રાજીનામાં