MAHARASHTRA : SANGLI માં અલ્ટો કાર કેનાલમાં ડૂબી, એક જ પરિવારના 6 સભ્યોએ ગુમાવ્યો જીવ
SANGLI ACCIDENT NEWS : મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સાંગલીમાં અલ્ટો કાર પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. સાંગલી જિલ્લાના તાસગાંવ માનેરાપુરીમાં એક અલ્ટો કાર આકસ્મિક રીતે વહેતી નહેરમાં પડી હતી. આ અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલા છ લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. હાલ અકસ્માતના સ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે અને અલ્ટો કારને કેનાલમાંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અકસ્માતમાં એક પરિવારના છ સભ્યોએ ગુમાવ્યા જીવ
આ અકસ્માતની ઘટના અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત ગઈકાલે મધરાતના સાડા બાર વાગ્યાના સુમારે બન્યો હતો. આ અલ્ટો કાર તાસગાંવ મણેરાજુરી માર્ગ પર તકરી કેનાલમાં અથડાઈ હતી. આ અકસ્માત બન્યો તે સમયે આ કારમાં એક જ પરિવારના સાત સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ તમામ પરિવારના સભ્યો જન્મદિવસની ઉજવણી માટે સાંગલી જિલ્લાના કાવથેમહાંકલ તાલુકાના એક ગામમાં ગયા હતા. આ ઉજવણીમાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી.
હાલ મૃતદેહોની શોધ કરવામાં આવી રહી છે
ઘટના ગઇકાલે મોડી રાત્રે બની હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે. આજે સવારે ગ્રામજનોએ કારને કેનાલમાં તરતી જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે સ્થળ પર આવીને ડાઇવર્સને બોલાવ્યા, જેઓ લોકો સાથે કેનાલમાં ઉતર્યા. હાલ મૃતદેહોની શોધ કરવામાં આવી રહી છે અને કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને લોકો સંયુક્ત રીતે બચાવ કામગીરી કરી રહ્યા છે.
અકસ્માત થવા પાછળનું હજી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી
જોકે આ ભયાવહ અકસ્માત થવા પાછળનું હજી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક રીતે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવર મધ્યરાત્રિના સુમારે મુસાફરી કરી રહ્યો હોવાથી થાકને કારણે ઊંઘમાં હોવો જોઈએ જેના કારણે ડ્રાઇવિંગ કરતી વખતે સ્લીપ થવાના કારણે આ અકસ્માત થયો હશે.
આ પણ વાંચો : ચૂંટણીનો સમય હોય અને મણિશંકર ઐયર બફાટ ન કરે તેવું બને ખરું? જાણો હવે શું કહ્યું