Uttar Pradesh: ધાર્મિક વ્યક્તિના હાથમાં સત્તા આવે તો પરિણામ સારા આવે, ન્યાયાધીશે કર્યા સીએમ યોગીના વખાણ
Uttar Pradesh: બરેલીના એડિશનલ સેસન જજ રવિ કુમાર દિવાકરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યાં છે. તેમણે કહ્યું હતું કે, સત્તામાં કોઈ ધાર્મિક વ્યક્તિ આવે તો તેના પરિણામ સારા આવે છે. યોગી આદિત્યનાથનું નામ લઈને ઉદાહરણ આપ્યું હતું. ન્યાયાધીશે સીએમ યોગી આદિત્યનાથની તુલના ફિલોસોફર કિંગ પ્લેટોના મંતવ્યો સાથે કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સત્તાના વડા ધાર્મિક વ્યક્તિ હોવા જોઈએ કારણ કે ધાર્મિક વ્યક્તિનું જીવન આનંદનું નથી પરંતુ બલિદાન અને સમર્પણનું છે. ન્યાયાધીશે કહ્યું, ‘આનું ઉદાહરણ મહાન સિદ્ધપીઠ ગોરખનાથ મંદિરના પીઠાધીશ્વર મહંત બાબા યોગી આદિત્યનાથ જી છે, જેઓ ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે અને તેમણે ઉપરોક્ત ખ્યાલને સાચો સાબિત કર્યો છે.’
યુપીના મુખ્યમંત્રીના ન્યાયાધીશે કર્યા વખાણ
એક એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે, ‘ન્યાયાધિશ દિવાકરે કહ્યું હતું કે, જો કોઈ ધાર્મિક વ્યક્તિ સત્તાના આસન પર આવે તે તેના પરિણામો ખરેખર સારા આવતા હોય છે. જેમ ફિલસૂફ પ્લેટોએ તેમના પુસ્તક રિપબ્લિકમાં 'ફિલોસોફર કિંગ'નો ખ્યાલ સમજાવ્યો છે. પ્લેટોએ કહ્યું હતું કે આપણા શહેર-રાજ્યમાં જ્યાં સુધી કોઈ ફિલોસોફર રાજા નહીં હોય ત્યાં સુધી દુઃખનો અંત નહીં આવે.
ન્યાયાધીશ દિવાકરે હિંસાને લઈને કરી ખાસ વાત
ઉલ્લેખનીય છે કે, 2010માં બરેલીમાં એક સાંપ્રદાયિક હિંસા મામલે મુસ્લિમ મૌલવી મૌલાના તૌકીર રઝા ખાનને સમન્સ આપતી વખતે ન્યાયાધીશ દિવાકરે આ ટિપ્પણી આપી હતીં. ન્યાયાધિશે કહ્યું કે, દેશમાં ભાગ્યે જ કોઈ હિંસાના માસ્ટરમાઇન્ડને સજા મળી હશે. વધુમાં તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જો યોદી આદિત્યનાથની સરકાર ના હોત તો આરોપી મૌલાના તૌકીરને બરેલીમાં વધું એક હિંસાને ભડકાવી હોત.
પરિવારમાં સુરક્ષાને લઈને ચિંતા રહે છેઃ ન્યાયાધીશ
મળતી વિગતો પ્રમાણે 2022 માં ન્યાયાધીશ દિવાકરે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો. આ બાબતે ન્યાયાધિશે કહ્યું કે, જે આદેશ કરવામાં આવ્યો હતો તે કાયદાકીય રીતે જ કરવામાં આવ્યો હતો. આ સાથે ન્યાયાધિશે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતીં. તેમણે કહ્યું કે, ‘મારા અને મારા પરિવારમાં અત્યારે ડરનો માહોલ છે, જેને હું શબ્દોમાં કહીં શકતો નથી. પરિવારના દરેક લોકો અત્યારે સુરક્ષાને લઈને ચિંતિત રહે છે. ઘરથી નીકળવા માટે પણ ઘણું વિચારવું પડે છે. મારી માતા મારી સુરક્ષાને લઈને ઘણી ચિંતિત રહેતી હોય છે.’