India vs Ireland :આયર્લેન્ડે ભારત સામેની T20 સીરિઝ માટે ટીમની કરી જાહેરાત
ભારતીય ટીમ (Team India) પાસે વાપસી કરવાનો સમય છે કારણ કે શ્રેણીમાં હજુ 4 મેચ રમવાની બાકી છે. આ સીરિઝ પછી તરત જ ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ (Ireland) ની મુલાકાત લેવાની છે જ્યાં ફરીથી 3 T20 મેચ રમવાની છે.
ભારત VS આયર્લેન્ડ
આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે, હવે યજમાન આયર્લેન્ડે પણ એવા ખેલાડીઓની જાહેરાત કરી છે જે ટીમ ઈન્ડિયાને પડકાર આપશે. T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા બાદ આયર્લેન્ડની આ પ્રથમ શ્રેણી છે.
આયર્લેન્ડે 15 સભ્યોની ટીમ કરી જાહેર
ક્રિકેટ આયર્લેન્ડે શુક્રવાર, 4 ઓગસ્ટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમની કમાન સ્ટાર ઓપનર પોલ સ્ટર્લિંગના હાથમાં રહેશે, જેને ગયા મહિને જ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. સ્ટર્લિંગને એન્ડ્રુ બાલ્બિર્નીના રાજીનામા બાદ જવાબદારી સોંપવામાં આવી હતી, જેણે જૂનમાં ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં ટીમની નિષ્ફળતા બાદ કપ્તાની છોડી દીધી હતી. જો કે બલબિર્ની T20 સીરિઝ માટે ટીમનો ભાગ છે. આ સિરીઝ 18 ઓગસ્ટથી શરૂ થશે.
આયર્લેન્ડે બે ફેરફાર કર્યા
જુલાઈમાં T20 વર્લ્ડ કપ 2024 યુરોપ રિજન ક્વોલિફાયરમાં રમી રહેલી આઇરિશ ટીમમાં માત્ર બે ફેરફાર કરવામાં આવ્યા છે. કાંડાની ઈજાને કારણે છેલ્લા બે મહિનાથી રમતમાંથી બહાર રહેલો ઓલરાઉન્ડર ગેરેથ ડેલાની ટીમમાં પાછો ફર્યો છે. જ્યારે માત્ર 10 T20 મેચ રમનાર મીડિયમ પેસર-ઓલરાઉન્ડર ફિયોન હેન્ડની પણ ટીમમાં વાપસી થઈ છે. તેમને નીલ રોક અને ગ્રેહામ હ્યુમની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આયર્લેન્ડ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
આયર્લેન્ડે સ્કોટલેન્ડમાં રમાયેલી આ ક્વોલિફાયરમાં ટોપ-2માં સ્થાન મેળવીને આવતા વર્ષના T20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી લીધી છે. આ સફળતા બાદ હવે આયરિશ ટીમનો સીધો મુકાબલો ભારત સાથે થશે. આયર્લેન્ડને આવતા વર્ષના વર્લ્ડ કપ પહેલા 15 T20 મેચ રમવાની છે અને ટીમ મેનેજમેન્ટ આ મેચો દ્વારા વર્લ્ડ કપ માટે ખેલાડીઓની ઓળખ કરવા માંગે છે.
ટીમ ઈન્ડિયાની કમાન બુમરાહના હાથમાં
અગાઉ 1 ઓગસ્ટના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ ત્રણ મેચની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સીરિઝથી વાપસી કરી રહ્યો છે. બુમરાહ આ સીરિઝમાં ટીમની કેપ્ટનશીપ કરશે. તેના સિવાય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. T20 કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર હાજર કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
આયર્લેન્ડની ટીમ
પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, રોસ એડેર, લોર્કન ટકર, હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, ફિઓન હેન્ડ, જોશ લિટલ, બેરી મેકકાર્થી, થિયો વાન વીરકોમ, બેન વ્હાઇટ, ક્રેગ યંગ .
આ પણ વાંચો -વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી