IPL 2023 : પંજાબ કિંગ્સે 31 રનથી મેચ જીતી, દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર
IPL 2023 ની 59મી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ સાથે જ દિલ્હીની ટીમ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પંજાબ કિંગ્સ માટે અંતિમ 4માં પહોંચવા માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આ મેચ 31 રને જીતીને પંજાબે અંતિમ-4માં પોતાની દાવેદારી જાળવી રાખી છે. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટોસ હાર્યા બાદ પંજાબ માટે શરૂઆત ખાસ રહી ન હતી. કેપ્ટન શિખર ધવન પહેલી જ ઓવરમાં જ ઈશાંત શર્માનો શિકાર બન્યો હતો. જે બાદ લિયામ લિવિંગસ્ટોન પણ સસ્તામાં આઉટ થયો હતો. પરંતુ ઓપનિંગમાં ઉતરેલા પ્રભસિમરન સિંહ 19મી ઓવર સુધી ક્રિઝ પર રહ્યા હતા. તેણે 65 બોલમાં 103 રનની શાનદાર ઇનિંગ રમી અને તેની પ્રથમ IPL સદી ફટકારી. તેની ઇનિંગ્સના કારણે પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા.
જવાબમાં ડેવિડ વોર્નર અને ફિલ સોલ્ટ દ્વારા દિલ્હી કેપિટલ્સને શાનદાર શરૂઆત અપાઈ હતી. થોડા સમય માટે એવું લાગી રહ્યું હતું કે દિલ્હી આ મેચ એકતરફી જીતશે. વોર્નરે પણ ફિફ્ટી લગાવી હતી. પરંતુ હરપ્રીત બ્રારે ચાર વિકેટ લઈને દિલ્હીની તમામ આશાઓને તોડી નાખી અને તેને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી. દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 136 રન જ બનાવી શકી હતી.
પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્હીની ટીમ આ હાર બાદ પણ છેલ્લા સ્થાને છે અને તેને 12મી મેચમાં આઠમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ દિલ્હીની પ્લેઓફમાં જવાની તમામ આશાઓ પણ ખતમ થઈ ગઈ છે. બીજી તરફ પંજાબ કિંગ્સે પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી છે. પંજાબની 12મી મેચમાં આ છઠ્ઠી જીત હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. તેમ છતાં જો ટીમ બાકીની બંને મેચો જીતે છે અને નેટ રનરેટ સારો રહેશે તો તેની અંતિમ 4માં જવાની આશા અકબંધ રહેશે.
આ પણ વાંચો : IPL 2023 : 22 વર્ષના આ ખેલાડીએ IPL માં ફટકારી તોફાની સદી, તોડી નાખ્યા અનેક રેકોર્ડ્સ