PMJY Scheme : ઇન્સ્યોરન્સ કંપનીઓ હોસ્પિટલોને બિનજરુરી કનડગત કરી પૈસા ચૂકવતી નથી..!
ગરીબો અને સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મફત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે PMJY -મા યોજના શરુ કરી છે પણ આ યોજનામાં ગેરરિતી આચરાતી હોવાના ઘણા કિસ્સા અવારનવાર બહાર આવતાં રહે છે. જો કે અમદાવાદમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. PMJY- મા કાર્ડ યોજના સામે ખાનગી હોસ્પિટલોને વીમા કંપની બિનજરૂરી કનડગત કરી પૈસા ન ચૂકવતી હોવાની ઘટના સામે આવી છે.
હોસ્પિટલ્સના પૈસા ઇન્સ્યોરન્સ કંપની સમયસર ચૂકવતી નથી
અમદાવાદ જિલ્લા કલેક્ટરે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના કમિશ્નરને આ મામલે પત્ર લખ્યો છે જેમાં ઘટસ્ફોટ કરાયો છે કે મા કાર્ડની સેવા આપ્યા બાદ ક્લેમ મંજુર કરવા જતી હોસ્પિટલ્સના પૈસા ઇન્સ્યોરન્સ કંપની સમયસર ચૂકવતી નથી. દર્દીઓને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ક્લેમ માટે જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરાય છે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની સમયસર પૈસા ચૂકવતી ના હોવાનું સામે આવ્યું છે.
પેમેન્ટ પણ બિનજરુરી કપાત કરીને મોકલવામાં આવતી હોવાની ફરિયાદો
પત્રમાં જણાવાયું છે કે અમદાવાદ જિલ્લા અને કોર્પોરેશનમાં કુલ 124 પ્રાઇવેટ હોસ્પિટલો તથા 74 સરકારી હોસ્પિટલો સરકારની આ યોજના સાથે જોડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની તથા બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સમયસર પેમેન્ટ નહી મળતું હોવાની ખાનગી અને સરકારી હોસ્પિટલો દ્વારા ફરિયાદ મળી છે. પેમેન્ટ પણ બિનજરુરી કપાત કરીને મોકલવામાં આવતી હોવાની ફરિયાદો મળી છે.
ઇન્સ્યોરન્સ કંપની તરફથી ઉદ્ધત જવાબ મળતા હોવાની ફરિયાદો
પત્રમાં જણાવાયું છે કે ઇન્સ્યોરન્સ કંપની તરફથી ઉદ્ધત જવાબ મળતા હોવાની ફરિયાદો પણ મળેલી છે. બજાજ ઇન્સ્યોરન્સ કંપની તરફથી નવી એમ્પેનલ થતી હોસ્પિટલ્સમાં પણ બિન જરુરી ઘણી ક્ષતિ કાઢવામાં આવે છે. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ટાટ ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવતું નથી. પ્રિ ઓથેરાઇઝેશન પણ સમયસર આપવામાં આવતું નથી જેથી દર્દીઓને કેશલેસ સારવાર આપવામાં હોસ્પિટલોને ઘણી સમસ્યા થઇ રહી છે.
ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ એમબીબીએસની ડિગ્રી ધરાવતા નથી
હોસ્પિટલોને પણ શો કોઝ નોટિસ અપાય છે. જે અયોગ્ય છે, ઇન્સ્યોરન્સ કંપની દ્વારા નાના કારણો અને સામાન્ય ટેકનિકલ ભુલો હોવાના કારણે નોટિસ આપવામાં આવે છે જેથી હોસ્પિટલના પેમેન્ટ અટકી જાય છે. શો કોઝ નોટિસ આપનારા ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ એમબીબીએસની ડિગ્રી ધરાવતા નથી અને આયુર્વેદ તથા હોમીયોપેથીક સ્નાતક હોય છે અને તેમનું વર્તન હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફ સાથે અમાનવીય અને મનસ્વી હોય છે તેવી રજૂઆતો પણ મળી છે.
મુદ્દાઓની ગંભીરતા લઇને ઘટીત કાર્યવાહી કરાય
પત્રમાં કલેક્ટરે કહ્યું છે કે આ મુદ્દાઓની ગંભીરતા લઇને ઘટીત કાર્યવાહી કરાય અને આ યોજનામાં જોડાયેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સમયસર દાવાના નાણા મળે તો આ યોજના સફળતાપૂર્વક ચાલશે
આ પણ વાંચો----મોરબી બ્રિજ કેસ : પીડિતોના એડવોકેટને કેમ સરકારે પોલીસ રક્ષણ આપ્યું ?