Indian Navy: પાકિસ્તાની માછીમારોએ લગાવ્યા ‘ઇન્ડિયા ઝિંદાબાદ’ના નારા, જાણો શું છે કારણ?
Indian Navy: ભારતીય નૌસેના અત્યારે સમુદ્રમાં ડાકુઓ માટે કાળ સમાન બની ગઈ છે. ભારતીય નૌસેનાનું નામ પડતાની સાથે જ સમુદ્રી ડાકુઓ થરથર કાંપે છે. ભારતીય નૌકાદળે શુક્રવારે એક ઈરાની માછીમારી જહાજને ચાંચિયાઓ (ડાકુઓ)થી બચાવ્યું હતું અને તેના 23 સભ્યોના પાકિસ્તાની ક્રૂને પણ બચાવ્યા હતા. ભારતીય નૌસેનાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે અલ-કંબર 786 જહાજના પાકિસ્તાની ક્રૂ 'ઇન્ડિયા ઝિંદાબાદ'ના નારા લગાવી રહ્યા છે.
9 હથિયારબંધ સમુદ્રી ડાકુઓને ઝડપાયા
તમને જણાવી દઈએ કે, ભારતીય નૌસેના (Indian Navy)એ 9 હથિયારબંધ સમુદ્રી ડાકુઓને ઝડપી લીધા છે. મળતી વિગતો પ્રમાણે આ ડાકુઓએ એક જહાજ હાઇજેક કર્યું હતું. મેરીટાઇમ એન્ટી પાયરેસી એક્ટ 2022 મુજબ વાત કરવામાં આવે તો ભારત ચાંચિયાઓ સામે વધુ કાર્યવાહી કરશે. નૌકાદળે કહ્યું કે, તેને ઈરાની માછીમારી જહાજ અલ-કંબર 786ના અપહરણની માહિતી મળી છે. આ જહાજ 28 માર્ચે યમનના સોક્ટ્રાથી 90 નોટિકલ માઈલ દૂર હતું.
ચાંચિયાઓ આત્મસમર્પણ કરવા માટે મજબૂર થઈ ગયા
નૌકાદળના જણાવ્યા પ્રમાણે બે જહાજોને અરબ સાગરમાં તૈનાત કરવામાં આવ્યા હતાં. આ જહાજોએ હાઈજેક થયેલા જહાજનો રોક્યું હતું. INS સુમેધા અને INS ત્રિશુલને આ કાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા હતા. નૌકાદળએ જણાવ્યું હતું કે, 12 કલાકથી વધુના સંઘર્ષ બાદ ચાંચિયાઓ આત્મસમર્પણ કરવા માટે મજબૂર થઈ ગયા હતાં. આ જહાજમાં સવાર 23 પાકિસ્તાનીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેને તબીબી સારવાર આપવામાં આવી અને પછી જવા દેવામાં આવી.
નૌકાદળ દરિયાઈ ક્ષેત્રને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ
ઉલ્લેખનીય છે કે, નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમારે અગાઉ પણ કહ્યું હતું કે ભારતીય નૌકાદળ એક સુરક્ષિત દરિયાઈ ક્ષેત્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે, સોમાલિયાના તટ પર સમુદ્રી ડાકુઓને પકડી પાડ્યા હતાં. તેમને લઈને આઈએનએસ કોલકાતા ભારત પહોંચ્યું હતું. ચાંચિયાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં એડનની ખાડીમાં માલવાહક જહાજોની સુરક્ષા માટે તેના જહાજો તૈનાત કર્યા છે.