Ahmedabad : સતત 189 વર્ષથી ચાલતા શ્રી આનંદી ઇન્દ્રરમણ ( લાલ ડંડાવાળા) ટ્રસ્ટ અંબાજી માતાના પગપાળા યાત્રા સંઘનો પ્રારંભ
સતત 189 વર્ષથી ચાલતા અમદાવાદના શ્રી આનંદી ઇન્દ્રરમણ ( લાલ ડંડાવાળા) ટ્રસ્ટ અંબાજી માતાના પગપાળા યાત્રા સંઘનો આજથી પ્રારંભ થયો હતો. અમદાવાદની માંડવીની પોળ લાલભાઇની પોળમાંથી સંઘે પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ સંઘ શાહીબાગ ભીમનાથ મહાદેવ પહોંચ્યો હતો અને બપોરે 12.39...
07:35 PM Sep 16, 2023 IST
|
Vipul Pandya
સતત 189 વર્ષથી ચાલતા અમદાવાદના શ્રી આનંદી ઇન્દ્રરમણ ( લાલ ડંડાવાળા) ટ્રસ્ટ અંબાજી માતાના પગપાળા યાત્રા સંઘનો આજથી પ્રારંભ થયો હતો. અમદાવાદની માંડવીની પોળ લાલભાઇની પોળમાંથી સંઘે પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ સંઘ શાહીબાગ ભીમનાથ મહાદેવ પહોંચ્યો હતો અને બપોરે 12.39 કલાકે સંઘે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતું. આગામી 26 સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગે અંબાજી માતાના મંદિરે ચાચર ચોકમાં નિશાન અર્પણ કરવામાં આવશે અને 27 સપ્ટેમ્બરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે.
રસપ્રદ ઇતિહાસ
શ્રી આનંદી ઇન્દ્રરમણ ટ્રસ્ટ (લાલ ડંડાવાળા) ટ્રસ્ટ દ્વારા છેલ્લા 189 વર્ષથી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ સંઘનો ઇતિહાસ પણ રસપ્રદ છે. 1835માં આ સંઘનું પહેલું પ્રસ્થાન થયું હતું. તે સમયે અમદાવાદ શહેરની વસતી માડ દોઢથી બે લાખ હશે. અમદાવાદમાં ત્યારે ભયંકર પ્લેગનો રોચચાળો ફાટી નિકળ્યો હતો. આવા સમયે શહેરના શ્રેષ્ઠી ઉદ્યોગપતિ હઠીસિંહ કેસરીસિંહ શાહનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે મનોમન સંકલ્પ કર્યો કે મા જગદંબાની કૃપાથી જો રોગ મટી જાય અને શહેરમાં ફરી સુખ શાંતી સ્થપાશે તો તેમણે માનતા રાખી કે અંબાજીના દર્શન કરવા માટે અમદાવાદના શ્રી ભીમનાથ મહાદેવથી પગપાળા મા અંબાના દર્શન માટે અંબાજી જશે. આ સંકલ્પ બાદ રોગચાળો શમી ગયો હતો.
સંકલ્પ પૂર્ણ કર્યો
પોતાના સંકલ્પ મુજબ હઠીસિંહ શાહે શ્રી જયસિંહભાઇ અને ખુશાલભાઇની સાથે ચર્ચા કરી સંઘ જોડી અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું હતું. આખા રસ્તે તેમણે માથે માતાજીની ચૂંદડી બાંધી હતી અને નિર્વિઘ્ને અંબાજી પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને પોતાનો સંકલ્પ પુરો કર્યો હતો. આ સંઘની શરુઆત આ રીતે 189 વર્ષ પહેલા થઇ હતી.
શરુ કરેલો સંઘ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો
હઠીસિંહ શેઠની સાથે ગયેલા જયસિંહભાઇ અને ખુશાલભાઇ અંબાજીથી પાછા ફરતી વખતે માતાજીની આરસની મૂર્તિ લેતા આવ્યા હતા અને માંડવીની પોળના પોતાના મકાનમાં આ મૂર્તિ અને બટુક ભૈરવની પ્રાણપ્રતિષ્ઠા કરી સ્થાપના કરી હતી. તેમને માતાજીએ પ્રેરણા આપી હતી અને શરુ કરેલો સંઘ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. માતાજી અને બટુક ભૈરવની પૂજા અર્ચના કરી લાંબા સમય સુધી સંઘનું પ્રસ્થાન થતું હતું. સંઘનું પ્રસ્થાન લાભ ચોઘડીયામાં પૂજન કર્યા પછી જ કરવામાં આવે છે.
આ યાત્રામાં યાત્રિક અને નિશાન મર્યાદીત સંખ્યામાં લેવામાં આવે છે. સંઘમાં આવતા પ્રત્યેક વ્યક્તિને ઓળખપત્ર આપવામાં આવે છે. યાત્રીકો માટે વિશેષ નિયમો પણ બનાવાયા છે.
Next Article