Mirzapur માં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રેક્ટર-ટ્રોલી સાથે ટ્રક અથડાઈ, 10 મજૂરોના મોત
- વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત
- ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં 10 લોકોના મોત
- લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર (Mirzapur)માં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે મજૂરોથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 મજૂરોના મોત થયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલોને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ભદોહીના મહારાજગંજ અને મિર્ઝાપુર (Mirzapur)ની કટકા બોર્ડર પર થયો હતો.
મળતી માહિતી મુજબ ટ્રેક્ટરમાં કુલ 13 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાંથી કાસ્ટિંગનું કામ કરીને વારાણસીમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ 10 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ગ્રામજનોએ હાઈવે બ્લોક કરી દીધો હતો. આ પછી વહીવટીતંત્ર દ્વારા રોષે ભરાયેલા લોકોને શાંત પાડવામાં આવ્યા હતા અને મોડી રાત્રે હાઈવે પરનો વાહનવ્યવહાર સુચારૂ થઈ શક્યો હતો.
લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી...
પોલીસે જણાવ્યું કે ભદોહીથી બનારસ જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી આવતી બસે ટક્કર મારી હતી. માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અગાઉ ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલ અને મૃતકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.