દેશમાં આજે 29 ઓગષ્ટે નેશનલ સ્પોર્ટસ ડે (National Sports Day) ઉજવવામાં આવી રહ્યો છે. હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદ (Major Dhyan Chand) નો આજે જન્મદિન છે અને તેમને ટ્રિબ્યુટ અર્પણ કરવા માટે 29 ઓગષ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે....
દેશમાં આજે 29 ઓગષ્ટે નેશનલ સ્પોર્ટસ ડે (National Sports Day) ઉજવવામાં આવી રહ્યો છે. હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદ (Major Dhyan Chand) નો આજે જન્મદિન છે અને તેમને ટ્રિબ્યુટ અર્પણ કરવા માટે 29 ઓગષ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે.
ભારતીય હોકીનો સુવર્ણકાળ
મેજર ધ્યાનચંદની રમત એટલી જોરદાર હતી કે તેમનો બોલ તેમની હોકી સ્ટીક સાથે ચોંટી જતો હતો અને ગમે ત્યાંથી તેઓ ગોલ ફટકારી શકતા હતા. ધ્યાનચંદના હોકી યુગને ભારતીય હોકીનો સુવર્ણકાળ ગણવામાં આવે છે.
ધ્યાનચંદ પણ નાનપણથી હોકીની રમતથી આકર્ષાયા હતા
મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગષ્ટ, 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેમનું નામ ધ્યાનસિંહ હતું. તેમના પિતા બ્રિટીશ લશ્કરમાં સુબેદાર તરીકે નોકરી કરતા હતા અને તેથી તેમનામાં નાનપણથી જ શિસ્ત અને અનુશાસનના ગુણ હતા. તેમના પિતા સોમેશ્વર લશ્કર તરફથી સ્થાનિક કક્ષાએ હોકી રમતા હતા અને તેથી ધ્યાનચંદ પણ નાનપણથી હોકીની રમતથી આકર્ષાયા હતા. તેમના પિતા લશ્કરમાં હોવાથી વારંવાર બદલીઓ થતી હતી પણ છેલ્લે તેમનો પરિવાર ઝાંસીમાં સ્થાયી થયો હતો.
ચંદ્રના પ્રકાશમાં હોકી રમતા હોવાથી તેમનું નામ ધ્યાનચંદ પડ્યું હતું
પિતા લશ્કરમાં હોવાથી ધ્યાનચંદ પણ લશ્કરમાં જોડાયા હતા. 1922માં તેઓ સેનામાં 14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે જોડાયા હતા પણ તેમને હોકીની રમતમાં ભારે રસ હતો જેથી બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારીએ તેમને મદદ કરી હતી. તેઓ 1922થી 1926 સુધી સેનાની હોકી ટુર્નામેન્ટ અને રેજીમેન્ટ ગેમ્સમાં હોકીની રમતમાં જાદુ ચલાવ્યો હતો અને તેથી આર્મીના તેમના સાથીઓ તેમના ચાહકો બની ગયા હતા. તેઓ નોકરી પૂર્ણ કર્યા પછી પણ રાત્રે પણ ચંદ્રના પ્રકાશમાં હોકી રમતા અને કહેવાય છે કે તેના કારણે જ તેમનું નામ ધ્યાનચંદ પડ્યું હતું.
ધ્યાનચંદે 36 ગોલ કરીને સહુને ચોંકાવી દીધા
મેજર ધ્યાનચંદની પ્રતિભા જોઇને 1926માં તેમને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય સેનાની ટીમમાં સમાવેશ કરાયો હતો જ્યાં ભારતીય ટીમે 18 મેચ જીતી હતી. આ પ્રવાસમાં મેજર ધ્યાનચંદની મુખ્ય ભૂમિકા હતા ત્યારબાદ 1927માં ઇંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમે 10 મેચમાં 72 ગોલ કર્યા હતા જેમાં ધ્યાનચંદે 36 ગોલ કરીને સહુને ચોંકાવી દીધા હતા. 1928માં નેધરલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે મેજર ધ્યાનદંચના સહારે નેધરલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. અને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમની રમતથી પ્રભાવિત થયેલા સ્થાનિક અખબારે લખ્યું હતું કે આ રમત હોકીની નહીં પણ જાદુની હતી અને ધ્યાનંદ હોકીના જાદુગર છે અને ત્યારથી જ મેજર ધ્યાનચંદનું ઉપનામ હોકીના જાદુગર પડી ગયું હતું.
ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને તેમાં ક્યાંક લોહચુંબક તો નથી તેની ખાતરી કરી
ધ્યાનચંદે ઓલિમ્પીકની પાંચ મેચમાં 14 ગોલ કર્યા હતા. ધ્યાનચંદ હોકી ફેરવવાની કળામાં એટલા નિપૂણ હતા કે તેમના વિરોધી પણ વધી ગયા હતા અને 1928માં તેમના વિરોધીઓએ ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને તેમાં ક્યાંક લોહચુંબક તો નથી તેની ખાતરી કરી હતી પણ તેમના તેમને સફળતા મળી ન હતી. 1932માં સમર ઓલિમ્પીકમાં ભારતે અમેરિકાને 24-1થી કારમી હાર આપી હતી જેમાં ધ્યાનચંદ એકલા એ જ 8 ગોલ કર્યા હતા.
મેજર ધ્યાનચંદના નામે 1 હજારથી વધુ ગોલ
સમગ્ર કારકિર્દીમાં મેજર ધ્યાનચંદના નામે 1 હજારથી વધુ ગોલ નોંધાયેલા છે પણ તે વખતે રેકોર્ડ સચવાયેલો ન હતો. જર્મનનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ મેજર ધ્યાનચંદની રમથી ભારે પ્રભાવિત થયો હતો અને મેજર ધ્યાનચંદને જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે મેજર ધ્યાનચંદે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. 1956માં ધ્યાનંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા હતા. ભારત સરકારે 1956માં તેમને પદ્મભૂષણ આપ્યું હતું, આ મહાન ખેલાડીનું 1979માં લીવર કેન્સરની બિમારીથી અવસાન થયું હતું. તેમના અવસાન બાદ સરકારે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકીટ પણ બહાર પાડી હતી અને દિલ્હીમાં ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ બનાવામાં આવ્યું છે. તેમના જન્મ દિવસે નેશનલ સ્પોર્ટસ ડે ઉજવવામાં આવે છે. આજના દિવસે પ્રતિભાવંત ખેલાડીઓને ખેલ રત્ન આપવામાં આવી રહ્યો છે.