GPSC પરીક્ષા મામલે હાઇકોર્ટમાં સુનાવણી, અરજદારોને મેઈન્સ પરીક્ષા આપવા કર્યો હુકમ
અહેવાલ : કલ્પીન ત્રિવેદી
ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષાને લઇને થયેલી એક અરજી મામલે આજે હાઇકોર્ટે એક મહત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારોને મેઇન પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો છે. હકીકતમાં, GPSC વર્ગ 1 અને 2 આન્સર કીની વિસંગતાને લઈ પરીક્ષાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની આજે સુવાનણી થઇ હતી અને કોર્ટે અરજદારના તરફેણમાં આજે હુકમ કર્યો હતો.
મહત્વનું છે કે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 08 જાન્યુઆરી 2023 ના રોજ વર્ગ-1 અને 2 અધિકારી લેવલ તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના કુલ 102 પદો પર ભરતી પ્રક્રિયા માટેની પ્રિલીમનરી પરીક્ષા લેવામાં આવી હતી. જેની પ્રોવિઝનલ આન્સર કી GPSC એ 11 જાન્યુઆરીના રોજ બહાર પાડી હતી. જ્યારે 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પડાઈ હતી. આ બંને આન્સર કીમાં વિસંગતતાના કારણે પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ ગઈકાલે હરિકૃષ્ણ બારોટ દ્વારા દાખલ થઈ હતી. નેગેટીવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા હોવાની પણ ફરિયાદ હાઇકોર્ટમા કરવામાં આવી હતી. ફાઇનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો કોર્ટમાં દાવો કરાયો હતો.
આજે હાઈકોર્ટે શું કર્યો હુકમ
આજે કોર્ટ સમક્ષ 41 જેટલા બીજા ઉમેદવારોની આ જ મુદ્દે અરજી આવી હતી. જેમાં તેમના વકીલ વૈભવ વ્યાસ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કી, કટ ઓફ માર્ક્સ અને અરજદાર ઉમેદવારોએ મેળવેલ માર્કસની વિગત કોર્ટ સમક્ષ મુકાઈ હતી. અરજદારો દ્વારા 07 જેટલા પ્રશ્નોના જવાબને ચેલેન્જ કરવામાં આવ્યા હતા. પરંતુ જસ્ટિસ જે.સી.દોશીએ કહ્યું હતું કે ચેલેન્જ કરેલા બધા જ પ્રશ્નોના જવાબ ઉમેદવાર તરફી સાચા હોય તેવું કેવી રીતે બને ? સંભાવનાના નિયમ મુજબ ઉમેદવારોના અડધા પ્રશ્નોના જવાબ સાચા હોય તો પણ કોર્ટ 02 કે 03 માર્ક ખૂટતા હોય તેને જ મુખ્ય પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી શકે. 07 થી 08 પ્રશ્નોના જવાબ સાચા જ હોય તેવો દાવો તો ભગવાન પણ ન કરે. પરિક્ષાર્થી જ જવાબ કેવી રીતે નક્કી કરી શકે ?
ક્યારે થયું હતું પરીક્ષાનું પરિણામ જાહેર
આ પરીક્ષાના ગત મહિને જાહેર કરેલ પરિણામમાં 3,806 પરિક્ષાર્થીઓને લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર કરાયા હતા. પ્રિલીમ પરીક્ષાના પેપર 01 માં બે પ્રશ્નો કેન્સલ કરાયા હતા. જ્યારે પેપર 02 માં ચાર પ્રશ્નો કેન્સલ કરાયા હતા. જેના સરખા ગુણ પરિક્ષાર્થીઓને વહેંચવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : “પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના”માં રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ