Good News : આજથી પોલીસ હવે ગરબા બંધ નહીં કરાવે..
રાજ્યમાં નવરાત્રીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ત્રીજું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજથી પોલીસ ગરબા બંધ નહીં કરાવે. એટલે કે મોડે સુધી ખેલૈયા ગરબે ઘુમી શકશે.
પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે
આમ તો રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા ચાલુ રાખવાની સૂચના છે અને મોટા શહેરોમાં તો રાત્રે 12 વાગે જ પોલીસ નવરાત્રી મહોત્સવના સ્થળે પહોંચીને માઇક બંધ કરાવી ગરબા બંધ કરાવે છે. જો કે હવે ખેલૈયાઓ માટે આજે સારા સમાચાર આવ્યા છે અને તે એ છે કે પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે અને તેથી મોડી રાત સુધી ખેલૈયા ગરબે ઘુમી શકશે.
રાજ્યની પોલીસને મૌખિક સૂચના
સુત્રોએ કહ્યું કે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે માટે રાત્રે 12 વાગે ગરબા બંધ નહીં કરાવવા ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના અપાઇ છે. મોટા શહેરો અને જીલ્લાના તમામ એસપી અને પોલીસ કમિશનરને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. આજે તો ત્રીજું નોરતું છે અને ત્રીજા નોરતાથી જ ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે અને હજું તો એક સપ્તાહ બાકી છે જેથી આ વર્ષે મોડી રાત સુધી મન ફાવે ત્યાં સુધી ખેલૈયા ગરબે ઘુમી શકશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોલીસ તંત્રને સૂચના આપી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોલીસ તંત્રને સૂચના આપી છે. રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને આ સૂચના અપાઇ છે. વધુ સમય સુધી ખેલૈયા ગરબા રમી શકે તે માટે આ સૂચના અપાઇ છે. ઉપરાંત તહેવારોમાં નાના વેપારીઓને પણ હેરાન ના કરવા માટે સૂચના અપાઇ છે. અડચણરુપ ના હોય તેવા લારી ગલ્લાવાળા ધંધો કરી શકે તે માટે આ સૂચના અપાઇ છે.
આ પણ વાંચો---182 મીટરની પ્રતિમાની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થઈ બોલીવુડ ક્વીન, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ’ : કંગના રાણાવત