RAM MANDIR : 'બાપુ આજ પૂરતી જ'...! અને ભુપેન્દ્રસિંહે છોડી દીધી મીઠાઇ
500 કરતાં અધિક વર્ષથી હિન્દુસ્તાનના રામભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે નજીક આવી પહોંચી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (RAM MANDIR) બને તે માટે અનેક ભક્તોએ માનતા અને બાધા રાખી હતી જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasma)નો પણ સમાવેશ થાય છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 1990માં પ્રણ લીધું હતું કે રામ મંદિર (RAM MANDIR) નહીં બને ત્યાં સુધી મીઠાઇ નહીં ખાઉં..અને આખરે હવે 22 જાન્યુઆરીએ રામ મંદિર (RAM MANDIR)ની પ્રાણપ્રતિષ્ઠા થઇ રહી છે અને મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રતિષ્ઠા થશે ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનેક રામભક્તોની માનતા પણ પુર્ણ થશે.
આંદોલનમાં અનેક લોકોએ બલિદાન આપ્યા
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર (RAM MANDIR)ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે ચાલેલાં આંદોલનમાં અનેક લોકોએ બલિદાન આપ્યા છે. આ સાથે અનેક ભક્તો એવા પણ છે કે જેમણે રામમંદિર માટે પ્રણ લઇને માનતા માનતી હતી.
ભૂપેન્દ્રસિંહ સહજ ભાવે બોલ્યા કે રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાઉં
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા પણ એવા રામ ભક્ત છે જેમણે રામ મંદિર ન બંધાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા રાખી હતી. 33 વર્ષ પહેલા ભુપેન્દ્રસિંહે આ ટેક લીધી હતી. 25 સપ્ટેમ્બર 1990માં રામમંદિરના નિર્માણ માટે ભાજપના આગેવાન લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. તે રથયાત્રામાં ભૂપેન્દ્રસિંહ પણ જોડાયા હતા. તે સમયે, વિશ્વ હિન્દુ પરિષદને જનજાગૃતિનું કામ સોંપાયું હતું. ધોળકામાં જન જાગૃતિની સભા રખાઈ હતી.તે સભામાં ભુપેન્દ્રસિંહએ સહજ ભાવે તેમની સામે પડેલી થાળીમાંથી મીઠાઈ લઈ લેવા કહ્યું. તે સમયે, કોઈએ ટિપ્પણી કરતા કહ્યું, બાપુ આજ પૂરતી જ...! ત્યારે, ભૂપેન્દ્રસિંહ સહજ ભાવે બોલ્યા કે રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાઉં..બસ, આ સહજ શબ્દો એ ક્ષણથી તેમનું કઠોર પ્રણ બની ગયા
PM મોદીએ એક જાહેર કાર્યક્રમમાં બાપુને મીઠાઈ ખવડાવી
40 વર્ષની ઉંમરે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીઠાઈ નહીં ખાવાની બાધા રાખી હતી અને એ દિવસ આવ્યો પણ ખરો. 4 વર્ષ અગાઉ એટલે કે, 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો હતો. ટેક લીધાના 30 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે PM મોદીએ એક જાહેર કાર્યક્રમમાં બાપુને મીઠાઈ ખવડાવી અને કહ્યું હતું કે બાપુ હવે તમારી બાધા પૂર્ણ થઈ.
94 વર્ષના માતા કમળાબાના હાથે મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા
ભુપેન્દ્રસિંહે તેમના 94 વર્ષના માતા કમળાબાના હાથે મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા હતા સાથે તેમના દીકરાની દીકરી ચિરંજીવી યશોધરાએ પણ મીઠાઈ ખવડાવી હતી. તે સમયે, સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયામાં સ્વામીએ ભૂપેન્દ્રસિંહને મીઠાઈ ખવડાવી હતી.
સહજ ભાવે રાખેલો અટલ સંકલ્પ 30 વર્ષ બાદ પૂરો થયો
જે મુદ્દો 500 વર્ષથી માત્ર ચર્ચાતો હતો તે રામ મંદિરના નિર્માણ માટે થઈને ભુપેન્દ્રસિંહે સહજ ભાવે રાખેલો અટલ સંકલ્પ 30 વર્ષ બાદ પૂરો થયો..અને હવે 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી દેશભરમાં દિવાળી જેવી ઉજવણી થશે..
આ પણ વાંચો----RELIGIOUS TOURISM : રામનગરી પણ બનશે અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર, એક વર્ષમાં પ્રવાસીઓમાં 85 ગણો વધારો