ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇ ભગવાન વાળીનાથની શરણે
મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં દરરોજ માનવ મહરામણ ઉમટી રહ્યું છે. તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા.
તરભધામમાં શિવ મહાપુરાણ કથાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વવિખ્યાત શ્રી ગિરીબાપુની શિવ મહાપુરાણ કથાનું રસપાન દરરોજ હજારો ભક્તો કરી રહ્યા છે. ગિરીબાપુની શિવ કથા સાંભળી તરભધામ ખાતે દર્શનાર્થે આવેલ ભક્તો ધન્યતા અનુભવે છે. ગુજરાત ફર્સ્ટની ટીમ મહોત્સવની ખબર તમારા સુધી પહોંચાડી રહ્યું છે.
ગઇકાલે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ચોથો દિવસ હતો ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇ ભગવાન વાળીનાથના દર્શન કરવા માટે પધાર્યા હતા ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તેમની સાથે ખાસ વાત કરી હતી. ચાલો જાણીએ તેમણે શું કહ્યું હતું...
ભગવાન વાળીનાથના મહોત્સવના ત્રિવેણી સંગમમાં સમગ્ર દેશ જોડાયો
ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇએ આ મહોત્સવ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 16 તારીખથી 22 તારીખ સુધી વાળીનાથધામ ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિવ પુરાણ કથા, મહારુદ્રી યજ્ઞ અને સમગ્ર દેશના સાધુ સંતનો સત્સંગ આવા ત્રિવેણી સંગમના આ કાર્યક્રમમાં ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ જોડાયો છે. વધુમાં સમગ્ર માલધારી અને રબારી સમાજની સાથે સાથે સમગ્ર સનાતન ધર્મ જોડાયો છે. લાખોની સંખ્યામાં લોકોની જનમેદની અહી ભગવાન વાળીનાથના દર્શનાર્થે ઉમટે છે.
તેમણે વડાપ્રધાનની આ મહોત્સવમાં ઉપસ્થિતિ અંગે કહ્યું હતું કે, દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ પોતે ઉત્તર ગુજરાતનું સંતાન છે અને એમના જ વિસ્તારમાં આ મહામહોત્સવ જ્યારે ઉજવાતો હોય ત્યારે તેઓ ભગવાન વાળીનાથના પ્રાણપ્રતિષ્ઠામાં તેઓ હાજર રહેવાના છે અને સમગ્ર ગુજરાતની જનતાને પણ જાહેર આમંત્રણ અમે પાઠવીએ છીએ કે તેઓ પણ આ મહામહોત્સવનો ભાગ બને.
પરમપૂજ્ય શ્રી બળદેવ ગીરીબાપુનું સપનું થયું સાકાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરમપૂજ્ય શ્રી બળદેવ ગીરીબાપુની પોતાની ઈચ્છા હતી કે અહી ભવ્યથી ભવ્ય શિવ મંદિર બને અને એમના પ્રતાપે અને તેમના આશીર્વાદના કારણે અને અત્યારના ગાદીપતિ શ્રી જયરામગિરિ બાપુ એ ખૂબ જ ઝીણવટ રાખી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ભવ્યાતિભવ્ય મહોત્સવમાં PM મોદી અને અમિત શાહ હાજર રહેશે
22 ફેબ્રુઆરી દરમિયાન તરભ વાળીનાથ ધામ ખાતે યોજાવા જઇ રહેલા ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય રાજકીય નેતાઓ સાથે સંતો-મહંતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 65 જેટલી અલગ-અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજનને સફળ બનાવવા સફળ પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.
આ પણ વાંચો -- Maulana Salman Azhari : આયોજક ઇશાક ગોરીને જામીન, મૌલાનાના જામીન અંગે આવતીકાલે સુનાવણી