Telangana pharma company: દવા બનાવતી ફેક્ટરીમાં થયો વિસ્ફોટ; 5 લોકોના મોત અને 16 લોકો ગંભીર રીતે ઘાયલ
Telangana pharma company: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં બુધવારે એક દવા બનાવતી કંપનીમાં વિસ્ફોટ થવાથી પાંચ કર્મચારીઓના મોત થયા છે. આ મામલે વિગતે વાત કરવામાં આવે તો જિલ્લાના હતનુરા મંડલના ચાંદાપુર ગામમાં એસબી ઓર્ગેનિક્સ લિમિટેડ (Telangana)માં બની હતી. કેમિકલ રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. વિસ્ફોટની અસરને કારણે ઔદ્યોગિક સંકુલનું એક માળખું પણ ધરાશાયી થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મરનારાઓમાં કંપની મેનેજર પણ સામેલ છે. ચારેય મૃતક મજૂરો બિહારના હોવાનું કહેવાય છે.
કેમિકલ રિએક્ટરમાં વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી
વિગતો સામે આવી રહીં છે કે, આ ઘટનામાં મરનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 16 લોકોનો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યાં છે. નોંધનીય છે કે, દરેક લોકોને અત્યારે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાંગારેડ્ડી પોલીસ અધિક્ષક રૂપેશ અને અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સીએમ એ. રેવન્ત રેડ્ડીએ કેમિકલ પ્લાન્ટમાં થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો.
બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવાનો આદેશ
સીએમએ ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓને તાત્કાલિક બચાવ કાર્યમાં ઝડપ લાવવા અને આગને કાબૂમાં લેવા અને બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને એસપીને ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. નોંધનીય છે કે, આ ઘટનાને પગલે તંત્રએ બચાવ કામગીરી પણ આરંભી દીધી છે.
સાંજે લગભગ 5 વાગ્યે વિસ્ફોટ થયો હતો
અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે જિલ્લાના હથનુર મંડલના ચાંદાપુર ગામમાં સ્થિત એસબી ઓર્ગેનિક્સ લિમિટેડની ફેક્ટરીમાં સાંજે લગભગ 5 વાગ્યે વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. આ પ્લાન્ટ હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 40 કિમી દૂર સ્થિત છે. ફાર્મા યુનિટના પરિસરમાં ફેલાયેલી આગને બાદમાં કાબુમાં લેવામાં આવ્યો હતો.