NIA નો મોટો ખુલાસો, તહરીક-એ-તાલિબાન અને અલ કાયદાની ભારતના આ 5 રાજ્યોમાં ઘૂષણખોરીની તૈયારી...
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાક-અફઘાન સરહદ પર કાર્યરત અલ કાયદા અને તહરીક-એ-તાલિબાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, તહરીક-એ-તાલિબાન અને અલ કાયદા ભારતના પાંચ રાજ્યોમાં યુવાનોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે. આ જ કારણ છે કે NIAએ આ અંગે તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને આસામની ATSને ચેતવણી આપી છે.
ઓનલાઈન કટ્ટરપંથીકરણ માટે સિક્રેટ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક કટ્ટરપંથી યુવાનોએ અફઘાનિસ્તાનમાં સ્થાયી થવા માટે જમીન ખરીદવાનો પ્લાન તૈયાર કર્યો છે. NIAના જણાવ્યા અનુસાર, તે બે યુવાનોએ થોડા દિવસ પહેલા જ અફઘાનિસ્તાનમાં જમીન ખરીદવા માટે હેન્ડલર્સને જંગી ફંડ ટ્રાન્સફર કર્યું હતું.
અલકાયદા અને તહરીક-એ-તાલિબાન જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો ભારતને નિશાન બનાવવાની ધમકી આપી ચૂક્યા છે. આ જ કારણ છે કે NIA તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. વાસ્તવમાં છેલ્લા એક વર્ષથી તહરીક-એ-તાલિબાને અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર એવી તોફાન મચાવી છે કે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં અઘોષિત ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. પેશાવર, ક્વેટા, કરાચી અને સ્વાત વેલી વિસ્તારો તહરીક-એ-તાલિબાનના હુમલાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. સૂત્રોએ જણાવ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાક-અફઘાન સરહદની બહાર પણ ગેરમાર્ગે દોરાયેલા અને કટ્ટરપંથી યુવાનોને આકર્ષવા અને તેના જૂથમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ સુરક્ષા એજન્સીઓ હાલમાં તહરીક-એ-તાલિબાનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી છે.
તહરીક-એ-તાલિબાનનો પ્લાન
ખરેખર, અમેરિકાએ પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ઉપાધ્યક્ષ અને સંગઠનના પ્રતિકાર વિભાગના વડા કારી અમજદ ઉર્ફે મુફ્તી મઝહીમને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો છે. આ કાર્યવાહી ગયા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. ત્યારપછી આ સંગઠને પાકિસ્તાનમાં જે પાયમાલી મચાવી છે તે સુરક્ષા દળો માટે હાલાકી બની છે. TTP અફઘાનિસ્તાનની તાલિબાન સરકારની વિચારધારાથી પ્રભાવિત છે. તેના ચીફ મુફ્તી મઝહીમ ક્યારેક પાકિસ્તાનની સરહદ તો ક્યારેક અફઘાનિસ્તાનને પોતાનો અડ્ડો બનાવે છે. TTPને વિશ્વાસ છે કે જે રીતે તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું છે, તે જ રીતે તે પાકિસ્તાનમાં પણ પોતાનું શાસન સ્થાપિત કરશે અને ચિત્રાલ તો માત્ર શરૂઆત છે. થોડા દિવસો પહેલા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ ચિત્રાલના પાકિસ્તાની વિસ્તાર પર કબજો કરી લીધો છે અને પાકિસ્તાની સુરક્ષા દળોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
આ પણ વાંચો : Video : દેશના 40 ટકા સાંસદો સામે છે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો