Coronavirus ના નવા વેરિઅન્ટથી સાવધાન, WHO એ જાણો શું આપી ચેતવણી
Coronavirus શબ્દ સંભળાતા જ ડરનો જાણે માહોલ બની જાય છે. આજે ભલે કોરોનાના કેસ તમને તમારા આસપાસમાં જોવા નથી મળી રહ્યા પણ એવું ન સમજો કે તે આ વાયરસ પૂરી રીતે આપણા જીવનથી દૂર થઇ ગયો છે. જીહા, હવે WHO એ પણ કોરોનાના કેસ અંગે દુનિયાભરના દેશોને નજીકથી દેખરેખ રાખવા વિનંતી કરી છે. અને સાથે એક ચેતવણી પણ જાહેર કરતા કહ્યું છે કે, અલગ-અલગ દેશોમાં BA.2.86 ની સબકૅટેગરી JN.1 તરીકે ઓળખાતા નવા સ્ટ્રેનને કારણે કોરોનાના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીનમાં ફેલાતા કોરોનાનું સબ-વેરિયન્ટ JN.1 હવે ભારતમાં પણ આવી ગયું છે. તેનો પહેલો કેસ કેરળમાં સામે આવ્યો છે.
JN.1 વેરિયન્ટ અંગે સતર્ક રહેવા WHO ની સલાહ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સભ્ય દેશોને શ્વસન સંબંધી રોગોમાં વધારો અને કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 અંગે ચેતવણી આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાવાયરસના કારણે દુનિયાભરના દેશો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી ચુક્યા છે. ઘણા દેશોની આર્થિક સ્થિતિ આ વાયરસના કારણે ખરાબ થઇ હતી. ત્યારે આ સ્થિતિ એકવાર ફરી ન બને તે માટે WHO તમામ સભ્ય દેશોને ચેતવી રહ્યું છે. WHO એ કહ્યું છે કે વાયરસ તેનું સ્વરૂપ બદલી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ સભ્ય દેશોએ મજબૂત દેખરેખ રાખવી જોઈએ જેથી કરીને રોગોના ફેલાવાને અટકાવી શકાય. WHO એ કોવિડ-19 પર સંસ્થાની ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવનો સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં કેરખોવે શ્વસન સંબંધી રોગોના ફેલાવાના કારણો સમજાવ્યા છે અને તેનાથી બચવા માટે શું સાવચેતી રાખવાની જરૂર છે તેની પણ માહિતી આપી છે. તેમણે લોકોને રસી લેવા અને ચેપના કેસોમાં તબીબી સંભાળ લેવાની સલાહ પણ આપી.
Respiratory diseases are increasing around the world due to a number of pathogens incl #COVID19, #flu, rhinovirus, mycoplasma pneumonia & others
SARS-CoV-2 continues to evolve. JN.1 (subvariant of BA.2.86) is already a VOI and continues to increase in circulation ⬇️ https://t.co/739wgCFlBz
— Maria Van Kerkhove (@mvankerkhove) December 17, 2023
મારિયા વાન કેરખોવે શ્વસન સંબંધી રોગોના ફેલાવાના કારણો સમજાવ્યા
કોરોના એક એવો વાયરસ છે જેણે દુનિયાની સુપર પાવર અમેરિકાને પણ પરેશાન કરી દીધું હતું. ત્યારે હવે ખાસ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે WHO ચેતવી રહ્યું છે. આ અંગે મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં લોકો ઘરની અંદર વધુ સમય વિતાવે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં વેન્ટિલેશનનો અભાવ હોય તો રોગ ફેલાવાનો ખતરો વધી જાય છે. જણાવી દઈએ કે આ દિવસોમાં પશ્ચિમી દેશોમાં ક્રિસમસની રજાઓ છે. આ જ કારણ છે કે કોરોના અથવા અન્ય શ્વસન રોગો ફેલાવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને હાલમાં 68 ટકા કોરોના કેસ સબવેરિયન્ટ JN.1 ને કારણે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સભ્ય દેશોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત નિયમોનો અમલ કરવા અને કડક દેખરેખ રાખવાની પણ અપીલ કરી છે.
ભારતમાં પણ નવા વેરિઅન્ટની એન્ટ્રી
ભારતમાં પણ આ નવા વેરિઅન્ટે દસ્તક દીધી છે. જણાવી દઇએ કે, કેરળમાં કોરાનાના સબ-વેરિઅન્ટ JN.1 સામે આવ્યા છે. ત્યારબાદ, સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓને લઈને મોકડ્રીલ કરવામાં આવી રહી છે. નિષ્ણાતો તેને ઝડપથી ફેલાતો કોરોના વેરિઅન્ટ JN.1 ગણાવી રહ્યા છે અને આ વેરિઅન્ટ પહેલાથી જ કોરોનાથી સંક્રમિત લોકોને પણ સંક્રમિત કરી શકે છે. નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ રાજીવ જયદેવનના જણાવ્યા અનુસાર, JN.1 વેરિઅન્ટ ઝડપથી ફેલાવવામાં અને રોગપ્રતિકારક શક્તિને ઓછી કરવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે JN.1 એ ગંભીર રોગપ્રતિકારક શક્તિ અને ઝડપથી ફેલાતો પ્રકાર છે. તેમણે વધુમાં કહ્યું કે, તે એવા લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ છે જેમને પહેલાથી જ કોવિડ ચેપ હતો અને જેમને રસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો - યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી : Italy PM Giorgia Meloni
આ પણ વાંચો - કેરળમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાયો, શું ભારત સામે આ મોટો પડકાર સાબિત થશે?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ