કેદારનાથ ધામ પર વીડિયો બનાવતા પહેલા થઇ જજો સાવધાન, લેવાયો આ મોટો નિર્ણય
ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રાના કેદારનાથ ધામમાં હવે રીલ બનાવવી મોંઘી પડી શકે છે. મંદિર સમિતિ તરફથી ઉત્તરાખંડ પોલીસને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ધામમાં રીલ બનાવનારાઓ સામે દેખરેખ રાખવા અને કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ કેદારનાથ ધામ પોલીસને પત્ર લખ્યો છે. તેણે મંદિરની આસપાસના વિસ્તાર પર કડક નજર રાખવા અને યુટ્યુબ શોર્ટ્સ, વીડિયો અને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું છે, જેથી આવી કોઈ ઘટના ફરી ન બને.
BKTC એ તેના પત્રમાં લખ્યું છે કે, શ્રી કેદારનાથ મંદિર વિસ્તાર હેઠળ કેટલાક યુટ્યુબર/ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર દ્વારા ધાર્મિક લાગણીઓની વિરુદ્ધ, યુટ્યુબ શોર્ટ વીડિયો અને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવામાં આવી રહી છે. જેના કારણે યાત્રાએ આવેલા યાત્રિકોની સાથે દેશ-વિદેશમાં વસતા હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. આ અંગે તેમની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. તેથી, શ્રી કેદારનાથ મંદિર વિસ્તાર હેઠળ ધાર્મિક લાગણીઓ વિરુદ્ધ આવા કાર્યો કરનારાઓ પર કડક નજર રાખીને, જરૂરી પગલાં લેવાની ખાતરી કરો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેદારનાથ ધામના ઘણા વીડિયો અને રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
DGP એ કહ્યું- કડક કાર્યવાહી કરવામાં આવશે
બીજી તરફ, આ મામલાને લઈને ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે જો તમે નફરતભર્યા ભાષણો આપો છો અથવા કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરો છો, તો આવી સ્થિતિમાં પોલીસ પણ કાર્યવાહી કરશે. અમે અગાઉ પણ FIR દાખલ કરી છે અને ભવિષ્યમાં પણ કરીશું. ડીજીપી અશોક કુમારે કહ્યું કે મંદિરના કાર્યોનું સંચાલન મંદિર સમિતિનું કામ છે. જો કોઈ વ્યક્તિ દ્વારા કંઈક થાય છે, જે ગુનાના દાયરામાં આવે છે, તો પોલીસ તેમની ભૂમિકા ભજવશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : UP : એવું તો શું થયું કે પત્ની થઈ ગુસ્સે, પતિના હાથ-પગ બાંધીને લાકડી વડે માર માર્યો, Video Viral