અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ કૌભાંડના આરોપીઓએ કર્યું આત્મસમર્પણ, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદનો સૌથી વિવાદીત અને ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજના 2 આરોપીઓએ આખરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. બ્રિજના ભ્રષ્ટાચારી આરોપી એવા અજય ઇન્ફ્રાસ્ટક્ચરના રમેશ અને રસીકે ખોખરા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જયારે બે ચિરાગ અને કલ્પેશ નામના આરોપીઓએ કાલે આત્મસમર્પણ કર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે 9 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી કેટલાક આરોપીઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણ લીધુ હતું.
શું હતી સમગ્ર ઘટના
સમગ્ર મામલા પર નજર કરીએ તો વર્ષ 2015માં હાટકેશ્વર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 40 કરોડના ખર્ચે 30 નવેમ્બર 2017ના રોજ બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે નબળી કામગીરી અને કૌભાંડની વ્યાપક ફરિયાદને પગલે 5 વર્ષમાં 5 વાર બ્રિજનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે, બ્રિજનું કામ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા. પ્રા.લિ. દ્વારા કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા 50 વર્ષ સુધી બ્રિજને કઇ ન થવાનો દાવો કરાયો હતો. જોકે સતત ગાબડા પડતા આખરે 2022માં બ્રિજને સંપૂર્ણ પણે બંધ કરી દેવાયો હતો. તપાસ કરતા બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો હતો. અને આખરે સુરક્ષાના કારણોસર ચાલુ મહિને જ AMCએ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ : બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને સૌથી મોટા સમાચાર, સ્થળ બદલાય તેવી શક્યતા