Ahmedabad : સાબરમતી નદી ફરી વાર સૌથી વધુ પ્રદૂષિત નદી..!
ઇનપુટ--કિશન કાંટેલિયા
અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી (Sabarmati ) નદી વધુ પ્રદૂષિત બની છે. ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડે (Gujarat Pollution Control Board) જાહેર કરેલા રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2021-2022 માં બોર્ડ દ્વારા કરાયેલા પૃથક્કરણમાં આ માહિતી સામે આવી છે. ખાસ કરીને અમદાવાદના વાસણાથી નારોલ બ્રિજ સુધીના નદીના પાણીમાં કરાયેલા પૃથક્કરણમાં નદી સૌથી વધુ પ્રદૂષિત બની હોવાનો ગંભીર ખુલાસો થયો છે.
નદીનું પાણી પીવા લાયક તો ઠીક પણ વાપરવા લાયક પણ રહ્યું નથી
દેશની લોકમાતા ગણાતી નદીઓ લોકોને પાણી પુરુ પાડવારી મુખ્ય સ્તોત્ર છે. જો કે આંધળા ઔદ્યોગિક વિકાસે નદીઓને જાણે કે મૃતપાય કરી દીધી છે અને નદીનું પાણી પીવા લાયક તો ઠીક પણ વાપરવા લાયક પણ રહ્યું નથી. 6 માસ પહેલા બહાર આવેલા એક અભ્યાસમાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનો ખુલાસો થયો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પાસે આવેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં અમદાવાદની સાબરમતી નદી અગાઉ કરતાં વધુ પ્રદૂષિત બની હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
નઘરોળ તંત્રને કોઇ અસર નથી
ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા 2021-22ના જાહેર કરાયેલા રિપોર્ટમાં અમદાવાદમાં સાબરમતી નદી સૌથી વધુ પ્રદૂષિત બની હોવાનું જણાઇ આવ્યું છે. ખાસ કરીને વાસણાથી નારોલ બ્રિજ સુધી નદીનો પટ અને પાણી હવે વાપરવાને પણ લાયક રહ્યું નથી. નદીઓની કાળજી લેવા અને પ્રદુષણ રોકવા માટે હાઇકોર્ટે અનેક વાર તંત્રને ફટકાર આપ્યો હોવા છતાં નઘરોળ તંત્રને કોઇ અસર નથી.
પાણી પ્રદૂષિત
રિપોર્ટમાં દર્શાવાયેલા વિવિધ માપદંડો મુજબ વાસણાથી નારોલ બ્રિજ સુધીના સાબરમતી નદીના પાણીનું પી.એચ. લેવલ 7.69 આવ્યું છે જે ગંભીર બાબત છે. આ ઉપરાંત ડીઓ લેવલ તો માપી જ શકાયું નથી. આ ઉપરાંત બીઓડી એટલે કે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ લેવલ 89.60 મિલીગ્રામ પર લિટર જોવા મળ્યું છે જે સામાન્ય રીતે 30 મિલીગ્રામ પર લિટર હોવું જોઇએ. નદીમાં ડીએનું લેવલ સામાન્ય રીતે 5 હોવું જોઇએ પણ મોટી માત્રામાં હોવાથી તેને માપી શકાયું નથી. પાણીમાં Cod (કેમીકલ ઓક્સિજન ડિમાન્ડ) લેવલ 386.6 પાયું છે જે સામાન્ય રીતે 100 હોવુ જોઈએ.
અગાઉના રિપોર્ટમાં પણ ગુજરાતની 13 નદી અત્યંત પ્રદૂષિત જાહેર થઇ હતી
ઉલ્લેખનિય છે કે ગત ફેબ્રુઆરીમાં પણ જાહેર થયેલા અન્ય એક રિપોર્ટમાં સાબરમતી નદી વધુ પ્રદૂષિત નદી હોવાનું બહાર આવ્યું હતું અને દેશની પ્રદૂષિત નદીમાં સાબરતમતી નદીનો નંબર બીજો આવ્યો હતો. આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 13 નદીઓ અમલખાડી, ભાદર, ધાદર, ખારી, વિશ્વામિત્રી, મિંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી તથા દમણગંગા અને તાપી નદીનો પણ સમાવેશ થયો હતો. આ રિપોર્ટમાં રાયસણથી વૌઠા સુધીનો પટ્ટો સૌથી વધુ પ્રદૂષિત હોવાનું જણાઇ આવ્યું હતું.
નદીના શુધ્ધિકરણ પાછળ સરકાર દ્વારા કરોડો રુપિયાનો ખર્ચો વ્યર્થ
નદીના શુધ્ધિકરણ પાછળ સરકાર દ્વારા કરોડો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે છતાં જીવાદોરી કહેવાતી નદીઓ દિન પ્રતિદિન પ્રદૂષિત બની રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્ર બોર્ડ દ્વારા વૈશ્વિક પર્યાવરણ મોનીટરીંગ એટલે કે જેમ્સ, ગ્લોબલ એંવિરોમેન્ટલ મોનીટરીંગ સિસ્ટમ જીપીસીબીને સોંપવામાં આવી છે. આ યોજના હેઠળ નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીના પાણીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ માટે 9 મથક નક્કી કરાયા છે જેમાં 7 મથક જમીનની સપાટી પરના પાણીની ગુણવત્તા માટે અને અન્ય 2 મથક ભૂગર્ભ પાણીની ગુણવત્તાના મોનીટરીંગ માટે નક્કી કરાયા છે.
વિવિધ નદીમાં પણ પૃથક્કરણ
આ અહેવાલમાં મહી નદીમાં વાસદ પાસે કરાયેલા પૃથક્કરણમાં પાણીનું પી.એચ.8.07, ડીઓ 7.82, બીઓડી લેવલ 0.63 મીટર અને સીઓડી લેવલ 5.67 છે. જ્યારે મહી નદીમાં જ સેવાલીયા પાસે પીએચ લેવલ 8.03, ડીઓ 8.24 જ્યારે બીઓડી લેવલ 0.62 અને સીઓડી લેવલ 5.50 છે. તાપી નદીમાં શેરુલા બ્રિજ નંબર 46 પાસે કરાયેલા પૃથક્કરણમાં પીએચ 7.97, ડીઓ 7.23, બીઓડી 0.88 અને સીઓડી 6.58 મપાયુ હતું. નર્મદા નદીમાં ગરુડેશ્વર પાસે નદીના પાણીનું પીએચ 8.09, ડીઓ 7.91, બીઓડી0.8 અને સીઓડી લેવલ 5 મપાયું હતું.
કેસમાં અત્યાર સુધી 24 વખત સુનાવણી
નોંધનીય છે કે સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે અત્યાર સુધીમા હાઈકોર્ટ અનેક વખત તંત્રને ફટકાર આપી છે. હાઇકોર્ટમાં પ્રથમ સુનાવણી 6.08.2021નાં રોજ હાથ ધરાઈ હતી અને આ કેસમાં અત્યાર સુધી 24 વખત સુનાવણી થઈ છે. કેસમાં અત્યાર સુધી 49 એફિડેવિટ ફાઈલ થયા છે જ્યારે અત્યાર સુધી 67 હુકમો થયા છે.
આ પણ વાંચો---શખ્સે LA PINO’Z PIZZA માંથી કર્યો ઓર્ડર, પિઝામાંથી નિકળ્યો મરેલો વંદો