દિલ્હીના મુખર્જી નગરમાં કોચિંગ સેન્ટરમાં લાગી આગ, વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદકા માર્યા
દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ ઓલવવા માટે 11 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા.
જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી આ ઈમારતમાં 12 વાગે આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે બારી પર લટકી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આગ ત્રીજા માળે ઇલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. જો કે આગ મોટી ન હતી પરંતુ ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા બાદ બાળકો ગભરાઈ ગયા હતા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે આવવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન 4 વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.
તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા
ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, અમને મુખર્જી નગરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અમે આગ ઓલવવા માટે 11 ગાડીઓ મોકલી હતી. તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. આગ બહુ ગંભીર ન હતી. અમારા વાહનો પહોંચે તે પહેલા કેટલાક વિદ્યાર્થીઓએ દોરડાની મદદથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓને ઈજા થઈ.
સુરતઃ કોચિંગમાં આગ લાગવાને કારણે 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા
અગાઉ મે 2019માં સુરતના સરથાણાના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આવેલા કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક આગમાં 20 વિદ્યાર્થીઓના જીવ ગયા હતા. જ્યારે એટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : વિશ્વના આ દેશોમાં આવે છે સૌથી ભયાનક Cyclone