રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ
રાજકોટ શેહરમાં જાણીતા રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફર્નિચરના ગોડાઉનના માલિક રાજેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, અંદાજિત 60થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ છે કે, એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા છે.
મહત્વનું છે કે, રાજકોટમાં મવડી વિસ્તારના આંનદ બંગલા ચોક નજીક એક ફર્નિચરના શો રૂમમાં આગ લાગી છે. ઘટના કઇક એવી રીતે બની છે કે પહેલા ફર્નિચરના શોરૂમ નજીક આવેલા ખાલી પ્લોટમાં આગ લાગી હતી. જે પછી ફર્નિચરના કારખાનામાં આ આગ પ્રસરી ગઇ હતી. ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગની ચપેટમાં કર્મચારીઓનાં વાહનો પણ આવ્યાં હતા. ત્રણથી ચાર ટુવ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતા. આગ વધુ પ્રસરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર ચીફ ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, રાજકમલ સ્ટીલ ફર્નિચરમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. આથી ફાયરની ગાડીઓ ઘટના પહોંચી ગઈ હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે. આગ હાલ કંટ્રોલમાં છે. માત્ર ટોપ ફ્લોર પર આગ છે જે બુઝાવવામાં આવી રહી છે.
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અન્ય કંપનીમાં તેની અસર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. આગ લાગી ત્યારે જ કર્મચારીઓ બહાર આવી ગયા હતા. તેમણે તાત્કાલિક તેમની પાસે આગ પર કાબુ મેળવવાના સાધન હતા તેનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : CM ની હાજરીમાં નીતિન પટેલના જન્મ દિવસની કડીમાં ઉજવણી, કરાઈ રજત તુલા