Glacier: પીર પંજાલમાં 122 હિમનદીઓ સંકોચાઈ રહી છે, વધી રહ્યું છે હિમનદી સરોવરો ફાટવાનું જોખમ
Glacier: વિશ્વમાં અનેક જગ્યાએ અત્યારે ભારે માત્રમાં બરફ પીગળી રહ્યો છે. પીર પંજાલ શ્રેણીમાં 122 હિમનદીઓ (Glacier)ની ઓળખ કરવામાં આવી છે, જેનું કદ 1980ના દાયકાથી નોંધપાત્ર રીતે ઘટ્યું છે. લગભગ 25.7 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગ્લેશિયર્સ ઘટીને માત્ર 15.9 ચોરસ કિલોમીટર થઈ ગયા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, શ્રીનગરના સંશોધકોએ એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો કર્યો છે. સંશોધકો મોહમ્મદ અશરફ ગનાઈ અને સૈયદ કૈસર બુખારીની આગેવાની હેઠળનું સંશોધન ઈન્ટરનેશનલ જર્નલ ઓફ હાઈડ્રોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રકાશિત થયું છે.
ચાર દાયકાના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું
આ બાબતે વધુ વિગતે વાત કરવામાં આવે તો 1980 થી 2020 વચ્ચે ગ્લેશિયર્સ સંબંધિત લગભગ ચાર દાયકાના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં સંશોધકોએ ભારતના કાશ્મીર બેસિનના પીર પંજાલ રેંજમાં આવેલા ગ્લેશિયરો પર થયેલા બદલાવો પર ખાસ નજર રાખી છે. આ સંશોધન પ્રમાણે વાત કરીએ તો, જે દક્ષિણ તરફની હિમનદીઓ (Glaciers) છે તેને ઉત્તર તરફ મુખ કરતી હિમનદીઓ કરતાં વધુ ઘટાડો થયો છે. આ ઉપરાંત ગ્લેશિયર્સ જે દરિયાની સપાટીથી સરેરાશ 3,800-4,000 મીટરની ઊંચાઈએ છે, તે નીચી ઊંચાઈ પરના હિમનદીઓ કરતાં વધુ પીગળી ગઈ છે.
હિમનદીઓ પીગળતા જળ સંકટનો ખતરો
સંશોધકો આ બાબતે કહે છે કે, હિમનદીઓમાં આવેલી કમીના કારણે જળ સંકટનો મોટો ખતરો વર્તાઈ રહ્યો છે. એટલું જ નહીં, આ ગ્લેશિયર્સ જે ઝડપથી અને નાટકીય રીતે પીગળી રહ્યા છે તેના કારણે અનેક અનિચ્છનીય કટોકટી ઊભી થઈ શકે છે. આમાં કૃષિ ઉત્પાદનથી લઈને રોજિંદા જીવનની દરેક બાબતોનો સમાવેશ થાય છે. તે જ સમયે, ગ્લેશિયર્સ પીગળવાને કારણે, હિમનદી તળાવો અચાનક ફાટવાનું જોખમ વધી રહ્યું છે, જે ઇકોસિસ્ટમ માટે જોખમ ઊભું કરી શકે છે. નોંધનીય છે કે, ભારતમાં અત્યારે કેટલાય રાજ્યોમાં જળ સંકટ તો જોવા મળી રહ્યું છે. ત્યારે હિમનદીઓના પીગળવાથી જળ સંકટ વધી જવાનું ચે.