AMBAJI: મોહિની કેટરર્સને ઘી આપનાર નીલકંઠ ટ્રેડર્સના જતીન શાહને 1 દિવસના રિમાન્ડ
અહેવાલ : શક્તિસિંહ રાજપુત,અંબાજી
અંબાજી મંદિર ટ્રસ્ટનો મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી છેલ્લા 5 વર્ષથી મોહિની કેટરર્સ દ્વારા કરવામાં આવે છે. ભાદરવી મેળા અગાઉ 28 ઓગસ્ટના રોજ ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા અંબિકા વિશ્રામગૃહ ખાતે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેલ જતા આ અમૂલ ડબાને સીલ કરાયા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રિપોર્ટ આવ્યા બાદ મોહિની કેટરર્સ વિવાદમાં આવી હતી અને આ તમામ ઘી અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સમાંથી લીધું હોવાનુ સામે આવ્યુ છે. અંબાજી પોલીસે તેના માલિક જતીન શાહની આબુરોડ પાસેથી ઘરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
નીલકંઠ ટ્રેડર્સે મોહિની કેટરર્સને 300 ઘીના ડબા આપ્યા હતા
અંબાજીમાં મોહિની કેટરર્સના ઘીના સેમ્પલ ફેલ થયા બાદ વિવાદ સામે આવ્યો હતો અને જેમાં અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સનું નામ હતું. નીલકંઠ ટ્રેડર્સે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને 300 ઘીના ડબા આપ્યા હતા જેના સેમ્પલ ફેલ નીકળ્યા હતા. જોકે મોહિની કેટરર્સના મેનેજરના નિવેદનને આધારે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનું નામ સામે આવ્યું હતું અને અંબાજી પોલીસે તપાસનો દોર ચલાવ્યો હતો. અંબાજી પોલીસે અમદાવાદ સ્થિત જે નીલકંઠ ટ્રેડર્સ છે ત્યાં તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ તપાસમાં આરોપી ફરાર થઈ ગયો હતો અને જેને લઈને બનાસકાંઠા પોલીસે બે ટીમો બનાવી હતી. અંબાજી પોલીસે ગત રાત્રે આરોપી જતીન શાહની ધરપકડ કરી હતી અને આજે તેને અંબાજી આધશક્તિ હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જવાયો હતો.
પોણા 3 કરોડ રૂપિયાની રકમ પણ અટકાવી
અંબાજી પોલીસ મથકે જિલ્લા મથકેથી ડીવાયએસપી તપાસ અર્થે આવ્યા હતા અને વધુ તપાસ ચાલી રહી છે. અંબાજી મંદિરના ચેરમેન જણાવી રહ્યા છે કે અમે મોહિની સંસ્થાની પોણા 3 કરોડ રૂપિયાની રકમ પણ અટકાવી રાખી છે તો બીજી તરફ ટચ સ્ટોન સંસ્થાએ પણ ભૂતકાળમાં દૂધની જગ્યાએ દૂધ પાવડરનો ઉપયોગ કર્યો હતો તે બાબત પણ સ્વીકારી છે.
પોલીસ વધુ તપાસ કરીને સત્ય બહાર લાવે
સમગ્ર વિવાદ બહાર આવતા મોહિની સંસ્થા ના કોઈપણ કર્મચારી કે મેનેજર સહિતનો સ્ટાફ અંબાજી થી ક્યાંય બહાર ગયો નથી જયારે મોહિની સંસ્થા દ્વારા અમદાવાદના વેપારી જતીન શાહ ની નિલકંઠ ટ્રેડર્સથી ઘીના ડબ્બા ખરીદવામાં આવ્યા હતા તે તમામ બિલો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. મોહિની સંસ્થાના અંબાજીના મેનેજર તખતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણ માલ જતીન શાહની દુકાનેથી લીધેલ છે અને પાકા બીલ મીડિયા સમક્ષ રજુ કરેલ છે અને અમે પોલીસ દ્વારા જે પણ બાબત પૂછવામાં આવતા સાથ સહકાર આપી રહ્યા છીએ, હવે પોલીસ વધુ તપાસ કરીને સત્ય બહાર લાવે.
આ પણ વાંચો---PANCHMAHAL : ગોધરાથી ઉમરાહ યાત્રા કરવા ગયેલા 23 થી વધુ લોકો મક્કામાં અટવાયા