એરફોર્સે લીધો મહત્ત્વનો નિર્ણય, વારંવાર થતા અકસ્માતો બાદ MIG-21 ના ઉડાન પર લગાવી રોક
ભારતીય વાયુસેના (IAF) એ મોટો નિર્ણય લીધો છે. તેમણે MIG-21 ફાઈટર એરક્રાફ્ટના સમગ્ર કાફલાની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનમાં એક પ્લેન ક્રેશ થયું હતું, જેના પછી સવાલો ઉઠી રહ્યા હતા. 8 મેના રોજ રાજસ્થાનના હનુમાનગઢના એક ગામમાં MIG-21 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.
ભારતીય એરફોર્સ (IAF) હવે સ્વદેશી બનાવટના LCA Tejas વિમાનોનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપશે અને સોવિયેત યુગના વિમાનોને માનભરી વિદાય આપવામાં આવશે. MiG વિમાનોના એક્સિડન્ટ એટલા બધા વધી ગયા છે કે તેના પર દેશની સુરક્ષાનો ભાર મુકી શકાય તેમ નથી.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર વરિષ્ઠ રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય અને દુર્ઘટનાના કારણોની જાણ ન થાય ત્યાં સુધી MIG-21 કાફલાની ઉડાન રોકી દેવામાં આવી છે. વાસ્તવમાં, MIG-21 એરક્રાફ્ટ વેરિઅન્ટ્સ પાંચ દાયકા પહેલા ભારતીય વાયુસેનામાં સામેલ થવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને તે તબક્કાવાર બહાર થવાની આરે પહોંચી ગયું છે.
ઇન્ડિયન એરફોર્સના અધિકારીએ જણાવ્યું કે શ્રીનગર એરબેઝ ખાતે આવેલી 51 સ્ક્વોડ્રનને 30 સપ્ટેમ્બરે રિટાયર કરી દેવામાં આવશે. ત્યાર પછી MiG વિમાનોની માત્ર ત્રણ સ્ક્વોડ્રન સર્વિસમાં રહેશે અને તેને પણ 2025 સુધીમાં દૂર કરવામાં આવશે. દર વર્ષે એક-એક સ્ક્વોડ્રનને સેવામાંથી હટાવવામાં આવશે.
આ પણ વાંચો : 2 હજારની નોટ ચલણમાંથી બહાર થશે, સૌથી મોટો સવાલ – 30 સપ્ટેમ્બર પછી શું થશે?