મુંબઈના જુહુ બીચ પર 5 લોકો દરિયામાં તણાયા, 4 લાપતા
બિપરજોય નામનું ચક્રવાત ધીમે ધીમે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું હજી તો ગુજરાતના દરિયા કિનારેથી 300 કિલોમીટર દૂર છે પરંતુ તેની ભયાનક અસરો શરૂ થઈ ગઈ છે. મુંબઈના દરિયા કિનારે એક ભયાનક દુર્ઘટના ઘટી છે.
મુંબઈના જુહુ બીચ પર નહાવા ગયેલા 5 લોકો સોમવારે દરિયામાં તણાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 5 લોકોમાંથી 1ને બચાવી લેવાયો છે, જ્યારે 4 હજુ પણ લાપતા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટના સાંજના 5.28 કલાકે બની છે. BMC, પોલીસ, વોર્ડ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી આરંભી દીધી છે. દરમિયાન બિપરજોય વાવાઝોડાના ત્રાટકવાની સંભાવનાને જોતા દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
મુંબઈમાં વધુ 2 NDRFની ટીમો તૈનાત
NDRFએ 15 જૂને ગુજરાતના કચ્છ જિલ્લામાં બિપરજોય ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે મુંબઈમાં બે વધારાની ટીમો તૈનાત કરી છે. અધિકારીએ કહ્યું કે, મહાનગરમાં પહેલાથી જ તૈનાત 3 ટીમો ઉપરાંત NDRFની ટીમો અનુક્રમે અંધેરી અને કાંજુરમાર્ગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, અમે સાવચેતીના પગલા તરીકે મુંબઈમાં પહેલાથી જ હાજર 3 ટીમો ઉપરાંત વધુ બે ટીમો તૈનાત કરી છે. તેમણે કહ્યું કે, પુણે સ્થિત ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને તૈયાર કરાઈ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની સંભવિત અસરોને પહોંચી વળવા NDRFએ 4 ટીમો ગુજરાત મોકલી છે.
વાવાઝોડા દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે
વાવાઝોડા દરમિયાન 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને પવનની ગતી 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. સંભવિત વાવાઝોડાના કારણે 14 અને 15 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અત્યંત ભારે વરસાદ અને પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આપણ વાંચો -IMDની ચેતવણી, વાવાઝોડું ‘બિપોરજોય’ અતિ પ્રચંડ બનશે, સાત રાજ્યોમાં ખતરો વધ્યો