"મંદિર એ પોઝિટિવ ઉર્જાનું પાવરહાઉસ છે અને મનને પરમ શાંતિનો અનુભવ થાય છે" : પૂ. જ્ઞાન નયનદાસ સ્વામી
અહેવાલ : વિશ્વાસ ભોજાની
અક્ષર મંદિરનાં 89 માં પાટોત્સવ નિમિત્તે આયોજીત પંચદિવસીય પારાયણમાં તૃતિય દિવસે પૂ. જ્ઞાનનયનદાસ સ્વામીએ પોતાની વિદ્વતા અને જ્ઞાનસભર શૈલીમાં ઉપસ્થિત ભક્તોને કથામૃતનું પાન કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજની પારાયણમાં સદગુરુવર્ય પરમ પૂજ્ય ઘનશ્યામચરણદાસ સ્વામીનાં દર્શન અને આશિર્વચનનો લાભ ઉપસ્થિત સૌ ભક્તોને પ્રાપ્ત થયો. તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, આ જીવનમાં જ્યારે ભગવાન અને ગુરુરૂપ સંતની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવનાં મોક્ષનો માર્ગ ઉઘાડો થાય છે. આપણો બેડો પાર થાય છે. ભગવાનની કથાવાર્તા એ મનના મેલને ધોવા માટેનું ઉત્તમ સાધન છે.
આજની પારાયણ કથામૃતમાં પૂ. જ્ઞાનનયન સ્વામીએ જણાવ્યું કે, મંદિર દ્વારા વ્યક્તિનું જીવન ઉદર્વગામી બને છે. મનુષ્ય જીવનમાં ફેલાયેલી બદીઓ મંદિર દ્વારા નાશ પામે છે. મંદિરથી જીવનમાં ભક્તિસભર વાતાવરણ વિકાસ પામે છે. આમ, મંદિર વ્યક્તિનું જીવન પરિવર્તન કરી જીવન ઉન્નત બનાવે છે, સદાચારી જીવન જીવવાની પ્રેરણા આપે છે.