Ahmedabad Accident: પંચમહાલના સાંપા ગામે પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના અંતિમસંસ્કાર
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ અમદાવાદ (ahmedabad)ના ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર સર્જાયેલ કાર અકસ્માતમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના વતન સાંપા ગામે અંતિમસંસ્કાર કરાયા હતાં, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહને...
Advertisement
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
અમદાવાદ (ahmedabad)ના ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર સર્જાયેલ કાર અકસ્માતમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના વતન સાંપા ગામે અંતિમસંસ્કાર કરાયા હતાં, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા બાદ નાનકડા ગામમાં અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.

હૈયાફાટ રુદન વચ્ચે જશવંતસિંહની અંતિમવિધિ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટના એ 10 લોકો નો ભોગ લીધો છે.જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ સામેલ હતાં.આ ઘટના ને 48 કલાક ઉપરાંત નો સમય વીત્યા બાદ હવે જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી તમામ મૃતકોના મૃતદેહોને તેમના વતનમાં મોકલવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે તમામ મૃતદેહો વતને પહોંચતા જ પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે અંતિમ ક્રિયા હાથ ધરવા માં આવી હતી. મૃતકોમાં એક ટ્રાકીક પોલીસ જવાન જશવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લાના સાંપા ગામ ના હતા. જ્યાં ભારે આક્રંદ અને હૈયાફાટ રુદન વચ્ચે જશવંતસિંહની અંતિમવિધિ કરવામાં આવી હતી.

પરિવાર નિરાધાર બન્યો
જશવંતસિંહના સ્વજનો કાર ચાલક તથ્ય પટેલને વહેલી તકે ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે.જશવંતસિંહના મૃત્યુ થી તેમનો પરિવાર નિરાધાર બન્યો છે અને પુત્ર-પુત્રીના લગ્ન પણ બાકી છે ત્યારે ઘરના મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડયું છે.સ્વજનો આ પરિવારના પુત્રને નોકરી આપવા પણ માંગ કરી રહ્યા છે.

પરિવારના માથે આભ તૂટી પડ્યું
મૂળ સાંપા ગામના વતની જશવંતસિંહ ચૌહાણ એસજી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. નિત્યક્રમ મુજબ જશવંતસિંહ પત્ની અને બાળકોને મળી ડ્યુટી પર પહોંચ્યા હતા. જશવંતસિંહ ઇસ્કોન બ્રિજ પર ઉભા હતા ત્યારે જ્યાં કાળ બની ને આવેલી જેગુઆર કાર ઇસ્કોન બ્રિજ પર ઉભેલા જશવંતસિંહ સહિત 10 લોકોને ભરખી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં જશવંતસિંહ ચૌહાણનું પણ ફરજ પર જ મૃત્યુ થયું છે. 53 વર્ષીય જશવંતસિંહનું મૃત્યુ થતાં નાના સરખા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.જ્યારે પરિવારે એક માત્ર કમાનારનો આધાર ગુમાવ્યો છે. મૃતક જશવંતસિંહના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે.પત્ની રમીલાબેન તેમજ ૨૨ વર્ષીય પુત્ર અમુલ અને ૧૯ વર્ષીય પુત્રી જાગૃતિ જે અમદાવાદ ખાતે રહેતા હતા. જ્યારે જશવંતસિંહના માતા પિતા અને ભાઈ તેમના વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સાંપા ગામે રહેતા હતા.

હત્યારાને ફાંસી આપવાની માગ
જશવંતસિંહના પુત્રી જાગૃતિ સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટ એ વાત કરી ત્યારે જણાવ્યું હતું કે તેઓએ અમારા માટે ઘણા સપના જોયા હતા પરંતુ આ કાર ચાલકના કારણે તેઓના તમામ સપના તૂટ્યા છે અને નિરાધાર બન્યા છે ત્યારે હત્યારા તથ્ય પટેલને વહેલી તકે ફાંસી આપવાની માંગ જશવંતસિંહ ની દીકરી કરી રહી છે તે સાથે જ પિતા વગર કેવી રીતે જીવન જીવવાનો તેવો એક સવાલ કરી રહી છે.

આખુ ગામ હિબકે ચડ્યું
ખોબા જેવડા સાંપા ગામમાં જશવંતસિંહના મૃત્યુના સમાચાર મળતા જાણે આખા ગામમાં સોપો પડી ગયો હોય તેમ ગમગીની છવાઈ ગઈ હતી. સ્પોર્ટ્સ વિલેજ તરીકે ઓળખાતા સાંપા ગામમાં જાણે માતમ છવાયો હોય તેમ આખું ગામ હિબકે ચડ્યું હતું. આજે મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું,. અત્રે ઉલ્લેખનીય છે કે જશવંતસિંહ પોલીસમાં નોકરી લાગ્યા બાદ છેલ્લા અંદાજીત 25 વર્ષ ઉપરાંતના સમયથી અમદાવાદ સ્થાયી થયેલા હતાં.સરખેજ પોલીસ સ્ટેશનમાં ઘણા વર્ષો ફરજ બજાવ્યા બાદ છેલ્લા અંદાજીત 7 થી 8 વર્ષ થી જશવંતસિંહ એસજી હાઈવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. જશવંતસિંહની પત્નીએ જણાવ્યું હતું કે, અમારા દામ્પત્ય જીવનમાં અમારા બે બાળકો છે, અને આગામી દિવસોમાં ગામમાં પાકું મકાન અને દીકરીનું લગ્ન કરવાના હતા. તેઓએ જશવંતસિંહ જોડે જ્યારે ફોન પર વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેઓ સવારે ઘરે આવશે પરંતુ તેઓ આ હાલતમાં ઘરે આવશે એ અમોએ વિચાર પણ કર્યો નથી.

પરિવારના સપના તૂટ્યાં
ટ્રાફિક પોલીસ જવાન તરીકે નોકરી કરતા જશવંતસિંહનું ગામનું ઘર એકદમ જર્જરિત અને નળીયા વાળું કાચું મકાન હતું. 25 વર્ષ સુધી નોકરી કર્યા બાદ જશવંતસિંહ પોતાનું ઘર પાકું નહોતા બનાવી શક્યા જે તેમની ઈમાનદારી અને ફરજ અને નિષ્ઠાની ચાડી ખાય છે. જશવંતસિંહ એ પોતે પરિવાર માટે સપના જોયા હતા. પુત્ર અને પુત્રી ના લગ્ન કરવા અને વતનમાં ઘર બનાવવું આ બે મોટા સ્વપ્ન સેવ્યા હતાં. પરંતુ હવે આ તમામ સપના ચકનાચૂર થઈ ગયા હતાં. પરિવારનો એક માત્ર કમાનાર આધાર છીનવાઈ જતા પરિવાર હવે કેવી રીતે નિર્વાહ કરશે તે પણ પ્રશ્ન પરિવાર ના મોભી એવા જશવંતસિંહના પિતા ને કોરી ખાઈ રહ્યો છે. જશવંતસિંહ ના પિતા પત્ની, બાળકો અને ગ્રામજનો આરોપી તથ્ય પટેલને ફાંસી ની સજા થાય તેવી માંગણી સાથે સરકાર પરિવારજનો ને પણ યોગ્ય સહાય કરે તેવી માંગણી કરી રહ્યા છે.
Advertisement