Milk Man of India : ઓપરેશન ફ્લડ કાર્યક્રમ..! ડો.વર્ગિસ કુરિયને દેશને આપેલી મોટી ભેટ
'અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા'....આજે દેશભરમાં ઘેર ઘેર અમૂલ બ્રાન્ડ લોકપ્રિય છે. ડેરી પ્રોડક્ટની જ્યારે વાત થાય ત્યારે અચૂક જે પહેલી બ્રાન્ડ મગજમાં આવે તે અમૂલ બ્રાન્ડ છે. દેશની શ્વેત ક્રાંતિના જનક ગણાતા ડો.વર્ગિસ કુરિયને દેશને આપેલી મોટી ભેટ છે અમૂલ....26 નવેમ્બરે તેમની જન્મજયંતિ છે અને તેમની જન્મજયંતિને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે અમૂલ દ્વારા અમૂલ ક્લીન ફ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવો જાણીએ ડો.વર્ગિસ કુરિયન કોણ હતા અને તેમને કેમ શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે.
તેમનો એક વિષય ડેરી એન્જિનિયરીંગનો હતો
એક સમય હતો ત્યારે કૃષિ પ્રધાન આપણો દેશ દૂધની અછતથી ઝઝૂમી રહ્યો હતો. ડો.વર્ગિસ કુરિયનનો જન્મ કેરળના કોઝિકોડમાં 1921માં થયો હતો. તેમણે 1940માં સ્નાતકની પદવી મેળવ્યા બાદ ચેન્નઇથી કોલેજમાંથી એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમને ભારત સરકાર તરફથી ડેરી એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ મળી હતી. 1948માં તેમણે મિશિગન યુનિ.માંથી મિકેનિકલ એન્જિનિયરીંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી જેમાં તેમનો એક વિષય ડેરી એન્જિનિયરીંગનો હતો.
કર્મચારીઓએ તેમને અમૂલ્ય નામ સુચવ્યું
ડો.વર્ગિસ કુરિયને 14 ડિસેમ્બર, 1946માં કૈરા ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડનો પાયો નાખ્યો હતો અને તે વખતે ત્રિભોવનદાસ પટેલ તેના સ્થાપક અધ્યક્ષ બન્યા હતા. જો કે આ નામ લાંબુ હતું તેથી એક બેઠકમાં કેટલાક કર્મચારીઓએ તેમને અમૂલ્ય નામ સુચવ્યું અને તેમાં પાછળથી આ સહકારી મંડળીનું નામ અમૂલ પડ્યું ત્યારબાદ અમૂલ સફળતા મેળવતી ગઇ હતી.
ડો કુરિયનને ઓપરેશન ફ્લડ કાર્યક્રમથી પણ ઓળખવામાં આવે છે
ડો કુરિયનને ઓપરેશન ફ્લડ કાર્યક્રમથી પણ ઓળખવામાં આવે છે. તેમણે આ કાર્યક્રમ 1970માં શરુ કર્યો હતો. આ કાર્યક્રમ થકી ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોનો વિકાસ થયો હતો. નેશનલ મિલ્ક ગ્રીડથી 700થી વધુ શહેરો અને નગરોના દૂધ ઉત્પાદકો જોડાયા હતા અને તેથી દેશમાં દૂધની અછત દુર થઇ હતી. તેમને મિલ્ક મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
નેશનલ મિલ્ક ડેવલપમેન્ટ બોર્ડની રચના
અમૂલે મેળવેલી સફળતા જોઇને તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આ મોડેલને અન્ય સ્થળો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ નેશનલ મિલ્ક ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની રચના કરવામાં આવી હતી. ડો.વર્ગિસ કુરિયનને આ બોર્ડના અધ્યક્ષ બનાવાયા હતા.
તેઓ 14 જેટલી ડોક્ટરેટ ડિગ્રી ધરાવતા
તેઓ 14 જેટલી ડોક્ટરેટ ડિગ્રી ધરાવતા હતા. જેમાં 7 વિદેશી અને 7 ભારતની યુનિવર્સિટીઓએ એનાયત કરેલી છે. તેમણે ઘણી સંસ્થામાં કાર્ય કર્યું હતું જેમાં 17 સંસ્થાના ચેરમેન, 2 સંસ્થામાં વાઇસ ચેરમેન, પાંચ સંસ્થાના નિયામક મંડળના સભ્ય, એક સંસ્થાના કુલપતિ, તો એક સંસ્થામાં ટ્રસ્ટી અને 9 સંસ્થામાં ઉચ્ચ પદો ભોગવ્યા હતા. તેમને 2006 સુધી 60 એવોર્ડ પણ મળ્યા હતા. જેમાં પદ્મવિભૂષણ સહિતના સર્વોચ્ચ એવોર્ડસનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાની આત્મકથા સહિત નોંધપાત્ર પુસ્તકો પણ લખેલા છે.
1998માં ભારત યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખી વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો
ડો.કુરિયનનું ટૂંકી માંદગી બાદ 90 વર્ષની વયે 9 સપ્ટેમ્બર 2012માં નિધન થયું હતું. તેઓ સામાજિક ઉદ્યોગદ્રષ્ટા હતા. તેમના સૌથી મોટા ઓપરેશન ફ્લડ કાર્યક્રમના કારણે 1998માં ભારત યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખી વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. અને ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારીવાળો ઉદ્યોગ બન્યો હતો. જો કે તેઓ મિલ્કમેન ગણાતા હતા પણ ક્યારેય દૂધ પિતા ન હતા.
તેમના જન્મદિને આણંદ આવશે અમૂલ ક્લીન ફયુઅલ (બાયોસીએનજી) કાર રેલી
આ વર્ષે અમૂલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અમૂલ ક્લીન ફયુઅલ (બાયોસીએનજી) કાર રેલી મારફતે આ નવી ક્રાંતિની સારી બાબતોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં અમૂલને મારૂતિ સુઝુકી ઈન્ડિયાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. દેશની અત્યંત વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ અમૂલ અને ભારતમાં સૌથી વધુ પ્રચલિત કાર બ્રાન્ડ મારૂતિ સુઝુકી ઈન્ડિયા આ સંદેશાને દેશના ખૂણે ખૂણે પહોંચાડશે.
આ પણ વાંચો---NATIONAL MILK DAY : 26 નવેમ્બરે આણંદમાં અમૂલ ક્લીન ફ્યુઅલ રેલીનું આગમન