"રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ"ની ઉજવણી રૂપે રાજકોટ ખાતે "આયુષ મેળો" યોજાયો
અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ
"રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩"ની ઉજવણી અન્વયે ધોળકિયા સ્કુલ,૧૫૦ ફુટ રિંગ રોડ, રાજકોટ ખાતે "આયુષ મેળો" યોજાયો હતો.
રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરી, રાજકોટ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ‘‘આયુર્વેદ ફોર વન હેલ્થ’’ અને ‘‘આયુર્વેદ ફોર એવરીવન ઓન એવરી ડે’’ અભિયાન અંતર્ગત યોજાયેલ આ આયુષ મેળાનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ કર્યું હતું. મહાનુભાવોના હસ્તે જિલ્લાના ખાંભા, ચરખડી, જૂની સાંકળી, ખજૂરી ગુંદાળા અને ખેરડી ખાતે ૫ નવા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નું ઈ લોકાર્પણ કર્યું હતું તેમજ "આયુષ પ્રદર્શન" ખુલ્લુ મુકાયું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, હાલમાં બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હૃદયરોગોનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે. સ્વસ્થ રહેવા માટે આપણે જીવનશૈલીમાં પરિવર્તન લાવી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત બનવું પડશે. આ માટે સરકાર સ્વાસ્થ્ય જાગૃતિ અને આયુર્વેદ જેવી વૈકલ્પિક પદ્ધતિઓના પ્રચાર માટે અનેક પ્રયત્નો કરી રહી છે તેનો સર્વે લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટિલાળાએ આયુર્વેદના મહાત્મ્ય વિશે જણાવતાં કહ્યું હતું કે, એલોપથી એ ચિકિત્સાનો દ્વિતીય વિકલ્પ છે. "પહેલું સુખ તે જાતે નર્યા" એ બાબત ધ્યાનમાં લઇ જીવનપદ્ધતિ અને ખાનપાનની ગુણવત્તા વિશે ધ્યાન આપી આયુર્વેદને અનુસરવું જોઈએ. પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વધુમાં વધુ લોકો આયુર્વેદનો લાભ લે અને આયુર્વેદ, યોગને જીવનશૈલીમાં અપનાવે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે આયુર્વેદનો વધુમાં વધુ વ્યાપ વધે તે માટે સૌઍ પ્રયત્નો કરવા જોઈએ.ધારાસભ્ય દર્શિતાબેન શાહે આયુષ મેળાની મુલાકાત લઇ વિવિધ નિદર્શનો અને પ્રદર્શન નિહાળ્યા હતા.
આ "આયુષ મેળા"માં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચામડીના, મહિલાઓના, સાંધાના, આંખ, કાન, નાક, જીવનશૈલીજન્ય ડાયાબીટીસ, થાઈરોઈડ, સ્થુળતા, બ્લડ પ્રેશર સહિતના રોગોની સારવાર, જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મિલેટ્સ વાનગી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
રાજકોટના વિભાગીય નાયબ નિયામક, શ્રી જયેશભાઈ પરમાર દ્વારા "આયુષ મેળો" આયોજનની રૂપરેખા આપવામાં આવી હતી. આ આયુષ મેળાનું ઉદઘાટન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થયું હતું. આ સાથે જ મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમર તેમજ અન્ય પદાધિકારીઓ, સ્કૂલ ટ્રસ્ટીશ્રી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ભાનુભાઇ મહેતા, આયુષ રાજકોના વરિષ્ઠ આયુષ ચિકિત્સકો, આયુર્વેદ અને હોમીયોપેથીના વિદ્યાર્થીઓ, અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે