Ahmedabad : વિરમગામમાં રવિન્દ્ર અને અમદાવાદમાં સ્મિતની હત્યા અંગે મોટો ખુલાસો
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા 36 કલાકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. 30 ઓક્ટોમ્બરના રોજ વિરમગામ નજીક અડધી સળગેલી હાલતમાં રવિન્દ્ર લુહારની લાશ મળી આવી હતી અને 31 ઓક્ટોમ્બરના રોજ સવારે અમદાવાદ રિવરફ્રન્ટ નજીક સ્મિતની ગોળી વાગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બંને હત્યામાં મુખ્ય આરોપી યશ રાઠોડની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
એક યુવકની ગોળી વાગેલી હાલતમાં લાશ મળી
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ નજીક 31 તારીખના રોજ વહેલી સવારે એક યુવકની ગોળી વાગેલી હાલતમાં લાશ મળી આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા યુવકનું નામ સ્મિત ગોહિલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ટેકનિકલ એનાલીસિસ અને CCTV ના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં 30 તારીખના રોજ સવારે વિરમગામ ખાતેથી મળી આવેલી અર્ધ બળેલી લાશમાંથી મળેલી ગોળી ઍક જ રિવોલ્વરની હોવાની સામે આવ્યું જેથી આ હત્યાનું કનેક્શન ખુલ્યું હતું.
પોતાના મોજ શોખ પૂરા કરવા માટે સ્મિત અને યશે રૂપિયા લીધા
રવિન્દ્રએ પોતાની ગર્લફ્રેન્ડ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા. અને અલગ અલગ લોકો પાશેથી 5 થી 6 લાખ રૂપિયા લીધા હતા. અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે સ્મિત અને યશે રૂપિયા લીધા હતા. રવિન્દ્ર દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતા સ્મિત અને યશ મધ્યપ્રદેશ ખાતેથી 65 હજાર રૂપિયામાં રિવોલ્વર અને 4 કારતૂસ લાવ્યા હતા. અમદાવાદના જોધપુર પાસેથી એક ભાડાની સેલ્ફ ડ્રાઇવ કાર લઈને વિરમગામ નજીક એક અવાવરૂ જગ્યાએ સ્મિત દ્વારા રવિન્દ્ર ને પહેલા ગોળી મારી અને ત્યારબાદ છરીના ઘા માર્યા અને કારમાં લાવેલા પેટ્રોલ દ્વારા રવીન્દ્રની બોડીને સળગાવી હતી. અને તેઓ ત્યાંથી ઘરે આવ્યા હતા. ત્યારે બાદ રવિન્દ્રના મિત્રો સાથે આ બંને તેને ગોતવા લાગ્યા હતા.
છેલ્લે તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે પણ વોટ્સેપ માધ્યમથી વાત કરી
સ્મિતને પોલીસના હાથે ઝડપાઇ જવાના બીકના કારણે 30 તારીખના રોજ મોડી સાંજે તેના મિત્ર યશ પાસેથી રિવોલ્વર લઈને આવ્યો હતો. અને અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતે સ્યુસાઇડ કર્યું હતું. અને છેલ્લે તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે પણ વોટ્સેપ માધ્યમથી વાત કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે હું હવે કંટાળી ગયો છું. સ્મિતે જે રિવોલ્વરથી આપઘાત કર્યો તે રિવોલ્વર પણ સાબરમતી નદીમાંથી મળી આવી હતી.
રિવરફ્રન્ટ પર પોતાને જ ગોળી મારી આપઘાત કર્યો
યશ રાઠોડને રવિન્દ્રને પૈસા આપવાના હોવાથી હત્યા કરાઇ હતી. હત્યા કર્યા બાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. જો કે ત્યારબાદ સ્મિત ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો તેને ડર હતો. અને તેથી યશ પાસેથી હથિયાર લાવીને પોતાને જ ગોળી મારી આપઘાત કર્યો હતો. તે રિવરફ્રન્ટ પર આવ્યો હતો અને રિવરફ્રન્ટ પર પોતાને જ ગોળી મારી આપઘાત કર્યો હતો. સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર કબ્જે કર્યું હતું. પોલીસે આ કેસના આરોપી યશ રાઠોડની અટકાયત કરી છે. યશ રાઠોડ બંને કેસનો મુખ્ય આરોપી છે. મધ્યપ્રદેશના મુરેનાથી બંને હત્યા માટે હથિયાર લાવ્યા હતા.
આ પણ વાંચો---અધધધ-રોજની છ હજાર રોટલી વેચે છે મીનાબેન