Uttarakhand : વિશ્વ ભારતની તાકાત દરેક ક્ષેત્રે જોઇ રહ્યું છે : PM મોદી
ઉત્તરાખંડના પ્રવાસે આવેલા પીએમ મોદીએ પિથોરાગઢમાં 4200 કરોડ રૂપિયાની વિવિધ વિકાસની પરિયોજનાઓનું ઉદ્ઘાટન , લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે.મહત્વનું છે કે પીએમ મોદી આજ સવારથી જ ઉત્તરાખંડના પિથોરામાં મંદિરમાં પૂજા અર્ચના અને ગામના લોકો સાથે વાતચીત કરી હતી.
આ દશકો ઉત્તરાખંડનો થવાનો-પીએમ મોદી
પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ જનસભા સંબોધી હતી. તેઓએ જણાવ્યું કે આ દશકો ઉત્તરાખંડનો થવાનો છે. ઉત્તરાખંડ વિકાસની નવી ઊંચાઇએ પહોંચશે અને તમારુ જીવન સરળ બનશે. આ માટે અમારી સરકાર સંપૂર્ણ ઇમાનદારી સાથે કામ કરી રહી છે.
ભારતમાં ગરીબી દૂર કરવાની ક્ષમતા-PM મોદી
તો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે અમે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે કામ કર્યું છે અને તેથી 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે... આ 13.5 કરોડ લોકો એક ઉદાહરણ છે કે ભારત ગરીબી દૂર કરી શકે છે.
વિશ્વ ભારતની તાકાત દરેક ક્ષેત્રે જોઇ રહ્યું છે-PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણો ત્રિરંગો દરેક ક્ષેત્રમાં લહેરાઇ રહ્યો છે. આપણું ચંદ્રયાન-3 ત્યાં પહોંચી ગયું છે જ્યાં વિશ્વનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારતે ચંદ્રયાન જ્યાં ઉતર્યું તે સ્થળનું નામ 'શિવ-શક્તિ' રાખ્યું છે. આજે વિશ્વ ભારતની તાકાત માત્ર અવકાશમાં જ નહીં પરંતુ રમતગમતમાં પણ જોઈ રહ્યું છે.તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.પ્રથમ વખત ભારતીય ખેલાડીઓએ 100થી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં તેઓએ ભગવાન શિવના આદિ કૈલાશ શિખરના દર્શન કરવા પહોંચ્યા હતા. પાર્વતી કુંડ પહોંચીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન પાઘડી અને રંગા ( શરીરના ઉપરના ભાગમાં પહેરવામાં આવેલું કપડું) ના પરંપરાગત પોશાક પહેર્યો હતો. તેઓએ પાર્વતી કુંડના કિનારે સ્થિત પ્રાચીન શિવ-પાર્વતી મંદિરમાં આરતી કરી હતી. સ્થાનિક પૂજારી વીરેન્દ્ર કુતિયાલ અને ગોપાલ સિંહે તેમની પૂજા કરી હતી.
ગુંજી ગામની લીધી મુલાકાત
ત્યારબાદ પીએમ મોદી ગુંજી ગામે પહોંચ્યા હતા. અહીં તેઓએ ગામના લોકો સાથે સામાન્ય નાગરિકની જેમ હળીમળી ગયા હતા. બાળકો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.
પીએમ મોદીને ઉમળકાભેર આવકાર
ગુંજી ગામમાં પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુંજીના ગ્રામજનો દ્વારા પરંપરાગત વાદ્યો વગાડીને પીએમ મોદીને આવકાર આપવામાં આવ્યો હતો. જો કે પીએમ મોદી તેઓના સંગીતથી એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે પણ પરંપરાગત વાદ્ય પર હાથ અજમાવતા પોતાને રોકી શક્યા ન હતા. . પીએમ મોદીએ ગ્રામવાસીઓ દ્વારા બનાવેલા સ્થાનિક ઉત્પાદનોની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદી સરહદ પર તૈનાત આર્મી-આઈટીબીપીના જવાનોને પણ મળ્યા હતા.
આ પણ વાંચો _ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા શૂરું કરાયું ‘OPERATION AJAY’ , વાંચો સંપૂર્ણ વિગત