મધ્યપ્રદેશમાં આજે થશે CMના નામની જાહેરાત! કેન્દ્ર નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્યોની યોજાશે મહત્ત્વની બેઠક
મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ બીજેપીની રાજ્યના નવા મુખ્યમંત્રી માટેની કવાયત હાલ પણ ચાલુ છે. ત્યારે આજે રાજ્યમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં કેન્દ્ર દ્વારા નિમણૂક કરવામાં આવેલા નિરીક્ષકોની હાજરીમાં થશે. બીજેપીએ 17 નવેમ્બરના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની કુલ 230 બેઠકમાંથી 163 પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 66 બેઠક મળી છે. આ ચૂંટણીમાં બીજેપીએ લોકો સામે મુખ્યમંત્રી તરીકેનો ચહેરો રજૂ કર્યો નહોતો. આથી રાજ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સસ્પેન્સ હાલ પણ યથાવત છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, મધ્યપ્રદેશમાં ધારાસભ્યોની બેઠક આજે સાંજે ચાર વાગ્યે શરૂ થઈ શકે છે. જ્યારે સાંજે 7 વાગ્યા સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની શક્યતા છે. પાર્ટીના નિરીક્ષકોમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પાર્ટીના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના વડા કે. લક્ષ્મણ અને સેક્રેટરી આશા લાકરા સામેલ છે, જે આજની બેઠકમાં સામેલ થશે અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા કરશે.
આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ ન કરી પીએમ મોદીની અપીલ પર પ્રચાર કર્યો હતો. ત્યારે હવે ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ ચર્ચાનો માહોલ છે. આ રેસમાં કેટલાક મોટા નેતાઓના નામ સામેલ છે. આ રેસમાં શિવરાજ સિંહ ચૌહાણ, ઓબીસી સમુદાયના પ્રહ્લાદ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ઇન્દોરના કદાવર નેતા કૈલાશ વિજયવર્ગીય, રાજ્ય એકમ પ્રમુખ વીડી શર્મા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સામેલ છે.
આ પણ વાંચો - Dheeraj Sahu IT red : 353 કરોડ રોકડા મળ્યા, હજી ગણતરી યથાવત