Jammu-Kashmir : શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ અધિકારીને ગોળી વાગતા ઘાયલ
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આતંકવાદી હુમલો થયો છે. શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ અધિકારીને નિશાન બનાવ્યા હતા. હાલ ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે શ્રીનગરમાં ઇદગાહ પાસે આતંકવાદીઓએ ઇન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર ગોળી મારીને ઘાયલ કર્યા હતા. ઈજાગ્રસ્ત ઈન્સ્પેક્ટરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આતંકવાદી પ્રવૃત્તિમાં પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
શ્રીનગરનો ઇદગાહ વિસ્તાર સૌથી વ્યસ્ત વિસ્તારોમાંથી એક છે. અન્ય દિવસોની સરખામણીએ રવિવારે અહીં વધુ ભીડ જોવા મળે છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો અહીં ક્રિકેટ રમવા માટે આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ પણ રવિવારે ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓ રમતના મેદાનમાં ઘૂસી ગયા અને એક પછી એક ગોળીઓ ચલાવી હતી જેમાં ઇન્સ્પેક્ટર મસરૂર ઘાયલ થયા હતા.
હુમલાને અંજામ આપીને આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આતંકવાદીઓની શોધ શરૂ કરી છે.
આ પણ વાંચો-KERALA BOMB BLAST: એક વ્યક્તિએ કર્યું સરેન્ડર, ADGPએ નામ જાહેર કર્યું