ભારતના રાષ્ટ્રધ્વજની તિંરંગા યાત્રા, 1905 થી લઈ આજ સુધી થયા છે અનેક ફેરફાર
- ભારતનો પહેલો ધ્વજ નિવેદિતા દ્વારા 1905 માં બનાવવામાં આવ્યો હતો
- 1907 માં બનેલો ધ્વજ 'સપ્તર્ષિ ઝંડા’ તરીકે ઓળખાયો
- 1947 માં બન્યો ભારતની આન-બાન અને શાન તિરંગો
Indian National Flag: વર્ષોના સંધર્ષ બાદ ભારતને 15 ઓગસ્ટે આઝાદી મળી હતી. પરંતુ આ દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજ (Indian National Flag)માં કેટલાય ફેરફાર કરવામાં આવ્યા હતાં. શું તમે આપણાં રાષ્ટ્રધ્વજ (Indian National Flag)ના ઇતિહાસ વિશે જાણો છો? ભારતના રાષ્ટ્રધ્વજની સૌ પ્રથમ કલ્પના સ્વામી નિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતા દ્વારા 1905 માં કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમાં ક્રમશઃ અનેક ફેરફારો કરવામાં આવ્યા અને બાદમાં આપણો તિરંગો તૈયાર થયો અને દેશભરમાં તેને માન્યતા આપી દેવામાં આવી. તો ચાલો આજે જાણીએ આપણાં રાષ્ટ્ર્ધ્વજ વિશે...
ભારતનો પહેલો ભારતીય ધ્વજ ક્યારે બન્યો અને કેવી રીતે?
ભારતનો પહેલો ધ્વજ જ્યારે બન્યો ત્યારે ભારત કાળમી ગુલામી ભોગવી રહ્યો હતો. વાત છે ઈ.સ 1905 ની કે જ્યારે સ્વામી વિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતાએ પ્રથમ વખથ સ્વતંત્રતા સંગ્રામમાં ભારત માટે રાષ્ટ્રધ્વજની કલ્પના કરી હતી. આ ધ્વજમાં 108 જ્યોતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિવેદિતા દ્વારા બનાવવામાં આવેલા ધ્વજનો આકાર ચોરસ હતો. તેમાં લાલ અને પીળો રંગ રાખવામાં આવ્યો હતો. તેમાં લાલ રંગ એ સ્વતંત્રતા સંગ્રામ અને પીળો રંગ એ વિજયનું પ્રતિક હતો. આ ધ્વજમાં બંગાળી ભાષામાં વંદે માતરમ લખવામાં આવ્યું હતું. આ ધ્વજને અત્યારે પણ પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત આચાર્ય ભવન મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યો છે.
ભારતનો બીજો ધ્વજ શચિન્દ્રપ્રસાદ બોઝે ડિઝાઈન કર્યો હતો
સ્વામી વિવેકાનંદના શિષ્યા નિવેદિતા બાદ શચિન્દ્રપ્રસાદ બોઝ દ્વારા તારીખ 07 ઓગસ્ટ, 1906 ના રોજ કોલકાતાના પારસી બાગાન ચોકમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ ધ્વજને કલકત્તા ધ્વજ તરીકે ઓળખ મળી હતી. મહત્વની વાત એ છે કે, આ પ્રથમ ભારતીય બિનસત્તાવાર ધ્વજ હતો. આ ઘ્વજની વાત કરવામાં આવે તો, તેમાં ત્રણ આડી પટ્ટીઓ રાખવામાં આવી હતી. જેમાં લાલ અને પીળો રંગ રાખવામાં આવ્યો હતો. સૌથી ઉપરની પટ્ટીમાં બ્રિટિશ શાસિત ભારતના આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા 8 અર્ધ-ખુલ્લા કમળના ફૂલો હતા, અને નીચલી પટ્ટીમાં સૂર્ય અને અર્ધચંદ્રાકાર ચંદ્ર દર્શાવવામાં આવ્યો હતો. આ ધ્વજની મધ્યમાં ‘વંદે માતરમ’ સૂત્ર લખવામાં આવ્યું હતું.
1907 માં બનેલો ધ્વજ 'સપ્તર્ષિ ઝંડા’ તરીકે ઓળખાયો
ભારતના દરેક લોકો જાણતા હશે કે, વિશ્વની ધરતી પર પ્રથમ વખત જો કોઈએ ભારતીય ધ્વજ ફરકાવ્યો હોય તે હતા મેડમ ભીખાઈજી કામા. તેમણે જર્મનીના સ્ટટગાર્ટ ખાતે તારીખ 22 ઓગસ્ટ, 1907 માં આંતરરાષ્ટ્રીય સોશ્યલિસ્ટ કોંગ્રેસના અધિવેશનમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજને અત્યારે ‘સપ્તર્ષિ ઝંડા’ તરીકે ઓળખવામાં આવે છે. 1906 અને 1907 ના ધ્વજમાં કોઈ વધારે ફેરફાર નહોતો. તેમાં ટોચની પટ્ટીનો રંગ કેસરી હતો અને કમળને બદલે સાત તારા સપ્તર્ષિનું પ્રતિક હતું. મેડમ કામાનો આ અસલ ધ્વજ આજે પુણેની મરાઠા અને કેસરી લાઈબ્રેરીમાં રાખવામાં આવ્યો છે.
1917 માં હોમ રૂલ ચળવળનો હિસ્સો બનેલો ધ્વજ
ભારતમાં અનેક ચળવળો થઈ છે, જેમાંથી કેટલીક ભૂલાઈ ગઈ તો કેટલીક ઇતિહાસના ચોપડે લખાઈ છે. હોમ રૂલ ચળવળ દરમિયાન ભારતની ભૂમિ પર લોકમાન્ય તિલક અને એની બેસન્ટ દ્વારા 1917માં ત્રીજા પ્રકારનો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ ‘હોમ રૂલ આંદોલન’ દરમિયાન કોલકાતામાં કોંગ્રેસના અધિવેશન દરમિયાન ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ સ્વતંત્રતા સંગ્રામની લડતનું પ્રતિક હતો. તેમાં 5 લાલ અને 4 લીલી એમ કુલ 8 પટ્ટીઓ રાખવામાં આવી હતી. ધ્વજના ઉપરના ડાબા ખૂણામાં યુનિયન જેક હતો. ઉપરના જમણા ખૂણામાં અર્ધચંદ્રાકાર ચંદ્ર અને તારો હતો. બાકીના ધ્વજમાં સપ્તર્ષિના રૂપમાં ગોઠવાયેલા સાત તારાઓ હતા.
1921 માં બન્યો હતો સ્વરાજ ધ્વજ
ઇ.સ 1921માં પાંચમા ક્રમમાં આંધ્રપ્રદેશના શ્રી પિંગલી વેંકૈયા દ્વારા બિજાવાડા ( જે હાલ વિજયવાડા તરીકે ઓળખાય છે) ખાતે ગાંધીજીની સૂચના અનુસાર સફેદ, લીલા અને લાલ રંગોમાં પ્રથમ ‘ચરખા-ધ્વજ’ ડિઝાઇન કરવામાં આવ્યો. આ ધ્વજ ‘સ્વરાજ-ઝંડા’ તરીકે ઓળખાય છે. અસલમાં આ ધ્વજમાં માત્ર બે કલર હતા, પરંતુ ગાંધીજી સૂચનને અનુસરીને સફેદ રંગ તેમાં ઉમેરવામાં આવ્યો. ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બન્યો હોવાથી મધ્યમાં ગાંધીજીના સ્પિનિંગ વ્હીલને સ્થાન અપાયું હતું. આ ધ્વજ વર્તમાન ધ્વજના સ્વરૂપનો પૂર્વજ છે. ધ્વજના ઈતિહાસમાં 1931 નું વર્ષ યાદગાર રહ્યું છે. કારણ કેે આ વર્ષે ત્રિરંગા ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સ્વરાજ ધ્વજ (ઝંડા)ને 1931માં સત્તાવાર ધ્વજ તરીકે માન્યતા મળી ગઈ હતી.
1947 માં બન્યો ભારતની આન-બાન અને શાન તિરંગો
1947 માં ભારતને આઝાદી મળી હતી. બ્રિટિશ સરકાર દ્વારા ભારતની સ્વતંત્રતાની જાહેરાત પછી ભારતીય નેતાઓને સ્વતંત્ર ભારત માટે રાષ્ટ્રધ્વજ (Indian National Flag)ની જરૂરિયાતનો અહેસાસ થયો. જે માટે ધ્વજને અંતિમ સ્વરૂપ આપવા માટે એક ધ્વજ સમિતિની રચના કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ (Indian Flag)ની ડિઝાઈન તત્કાલીન આઈ.સી.એસ.ઓફિસર સુરૈયા બદરૂદ્દીન તૈયબજી દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેને 17 જુલાઈ,1947 ના રોજ ધ્વજ સમિતિ દ્વારા મંજૂરીની મહોર આપવામાં આવી હતી. 22 જુલાઈ, 1947 ના રોજ સમિતિની ભલામણ પર બંધારણ સભાએ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે તિરંગાને અપનાવ્યો. આપણાં તિરંગાની વાત કરવામાં આવે તો, તેમાં ત્રણ રંગોની સમાન પહોળાઈની ત્રણ આડી પટ્ટીઓ છે, જેની ટોચ પર ભગવો રંગ - જે દેશની તાકાત અને હિંમત દર્શાવે છે. મધ્યમાં સફેદ રંગ - ધર્મ ચક્ર સાથે શાંતિ અને સત્ય દર્શાવે છે, અને ઘેરો લીલો રંગ સમૃદ્ધિ, વિકાસ અને ફળદ્રુપતા દર્શાવે છે. ત્રિરંગાની મધ્યની સફેદ પટ્ટીમાં 24 આરાઓ સાથેનું ઘેરા વાદળી રંગનું અશોક ચક્ર છે. આ ચક્ર દિવસના 24 કલાક અને આપણા દેશની સતત પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો: World Lion Day : કેમ ઊજવાય છે 'વિશ્વ સિંહ દિવસ'? જાણો ઇતિહાસ, મહત્ત્વ અને સિંહ વિશે રસપ્રદ વાતો