18 જ દિવસમાં KEDARNATH યાત્રાધામમાં પહોંચ્યા એટલા ભક્તો કે બની ગયો આ રેકોર્ડ
KEDARNATH DHAM NEWS : વર્ષ 2024 માં અક્ષય તૃતીયાના અવસરે 10 મેન રોજ પવિત્ર યાત્રાધામ કેદારનાથ અને યમુનોત્રીના દરવાજા ખોલવામાં આવ્યા હતા. હિન્દુઓ માટે પવિત્ર કહેવાતા આ યાત્રાધામના પટ ખૂલ્યા બાદ લાખોની સંખ્યામાં ભક્તો તેમના ભગવાનના દર્શનાર્થે પહોંચ્યા હતા. હવે પ્રાપ્ત માહિતી અનુસાર, કેદારનાથમાં 18 જ દિવસમાં એટલી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે કે એક નવો જ રેકોર્ડ સ્થાપિત કરવામાં હવે આવ્યો છે. કેદારનાથ યાત્રાના ઈતિહાસમાં પ્રથમ વખત 18 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. ભક્તો એટલી સંખ્યામાં હજી પણ ઉમટી રહ્યા છે કે, કેદાર ઘાટીથી કેદારનાથ સુધીનો આખો માર્ગ શ્રદ્ધાળુઓથી ભરેલો છે. આ વર્ષે અપેક્ષા કરતા વધુ ભક્તો બાબા કેદારના દર્શન માટે ચારધામ પહોંચી રહ્યા છે.
KEDARNATH ખાતે 18 જ દિવસમાં 5 લાખથી વધુ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા
બાબા કેદારના ધામ કેદારનાથ મંદિરના દર્શને ફક્ત 18 જ દિવસમાં 5 લાખથી વધુ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે. બાબાના મંદિરના પટ ખૂલ્યા બાદથી જ 30 હજારથી વધુ લોકો આવી રહ્યા છે. અહી નોંધનીય છે કે, દર્શને આવતા ભક્તો માટે વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. આસ્થા સાથે યાત્રિકોને રહેવા અને ભોજનની સગવડ, શૌચાલય અને વીજળીની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સમગ્ર સંકુલ તેમજ દરેક હેલીપેડ, વોક-વે, ટ્રાવેલ સ્ટોપ અને હાઈવે પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
અક્ષય તૃતીયના પાવન પર્વ પર કેદારનાથના કપાટ ખૂલ્યા હતા
નોંધનીય છે કે, અક્ષય તૃતીયના પાવન પર્વ પર કેદારનાથના કપાટ ખુલ્લા કરવામાં આવ્યા હતા. 5 મે, 2024 ના રોજ બદ્રીનાથના કપાટ શ્રદ્ધાળુ ઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા, ત્યારે મંદિર ખોલ્યાની સાથે તેને પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. દરવાજા ખુલ્યા બાદ સમગ્ર કેદારનાથ 'બમ-બમ ભોલે' અને 'બાબા કેદાર કી જય'ના નારાથી ગુંજી રહ્યું છે. દરરોજ ભક્તો ભક્તિમાં ડૂબેલા પરિસરમાં ડમરુ સાથે નાચતા જોવા મળે છે.
આ પણ વાંચો : Delhi Metro માં લાગી આગ! રાજીવ ચોક સ્ટેશન પર જોવા મળી જ્વાળાઓ, Video