મહાકુંભમાં ભાગદોડ LIVE : દુર્ઘટના અંગે PM મોદીનું ટ્વીટ, મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
- પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડ
- ભાગદોડમાં 10થી વધુ લોકોના મોત
- ભાગદોડમાં અનેક લોકો ઇજાગ્રસ્ત
- 13 અખાડાનું આજે અમૃત સ્નાન રદ્દ
- PM મોદીએ મુખ્યમંત્રી યોગી સાથે કરી વાતચીત
- સમગ્ર પરિસ્થિતિની મેળવી જાણકારી
Mahakumbh Stampede Incident LIVE : મહાકુંભના બીજા અમૃત સ્નાન મહોત્સવ દરમિયાન મૌની અમાવાસ્યાથી થોડા સમય પહેલાં પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે.
આ ઘટનાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે મોટી દુર્ઘટના બાદ બેરિકેડિંગ હટાવી લોકો સ્થળ છોડે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં, સંગમ કિનારે ભીડ યથાવત છે અને લોકો કોઈને કોઇ રીતે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાધુ-સંતો લોકોએ સંગમ કિનારે ન જવા માટે અપીલ કરી છે. જણાવી દઈએ કે 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 20 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે. આજે એટલે કે બુધવારે મૌની અમાસ પર 10 કરોડથી વધુ ભક્તો પહોંચવાની અપેક્ષા છે. જોકે, અહીં પરિસ્થિતિને જોતે સંતો દ્વારા ભક્તોને અહીં ન આવવાની સલાહ આપવામાં આવી રહી છે. સંતોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને આવી ઘટના ફરી ન બને તે માટે લોકોને અપીલ કરી છે.
સંજય રાઉતે યુપી સરકાર પર નિશાન સાધ્યું
January 29, 2025 12:19 pm
શિવસેના (UBT) ના નેતાએ કહ્યું, 'યુપી સરકાર ફક્ત કુંભ મેળાના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. ભક્તોની સુવિધાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જ્યારે ગૃહમંત્રી અને સંરક્ષણમંત્રી સ્નાન કરવા ગયા ત્યારે સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓને અસુવિધા થઈ હતી. યુપીના મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓએ પાર્ટીનો પ્રચાર કરવાને બદલે ભક્તો માટેની વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈતું હતું. સરકારે કટોકટીની બેઠકો બોલાવી, પણ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. રસ્તા પર સૂઈ ગયા પછી ભક્તોને સ્નાન કરવું પડ્યું, આ કેવું સંચાલન છે? 1954 માં, પંડિત નહેરુએ પોતે કુંભ મેળાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ આજના વડા પ્રધાન અને મુખ્યમંત્રી એટલા સક્રિય હોય તેવું લાગતું નથી.
મહાકુંભ દુર્ઘટના અંગે PM મોદીનું ટ્વીટ
January 29, 2025 11:59 am
મહાકુંભમાં થયેલી દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું. જેમા તેમણે આ દુર્ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી. PM મોદીએ જણાવ્યું કે, "હું સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છું" અને મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથ સાથે વાતચીત ચાલું છે. PM મોદીએ મૃતકોના પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો તાત્કાલિક સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી. તેમણે વધુમાં ઉમેર્યું કે, "તંત્ર હરસંભવ મદદ માટે જોતરાયેલું છે" અને તમામ સહાય માટે સજ્જ છે.
સ્નાન માટે પોલીસ પરવાનગીની રાહ જોવાઇ રહી છે
January 29, 2025 11:11 am
અખાડો ફરીથી અમૃત સ્નાન માટે તૈયાર છે. પરંતુ પોલીસે હજુ સુધી સ્નાનની પરવાનગી આપી નથી. બાકીના અખાડા હજુ રાહ જોઈ રહ્યા છે.
મહિલાએ કહ્યું - અમુક લોકો હસી રહ્યા હતા
January 29, 2025 11:01 am
સરોજિની નામની એક મહિલાએ આ ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે, " અહીં ધક્કામુક્કી થઈ રહી હતી, બચવાનો કોઈ મોકો નહોતો." તેમણે વધુમાં કહ્યું કે, "અમારું 60 લોકોનું ગ્રુપ 2 બસોમાં આવ્યું હતું, જેમાં 9 લોકો હતા. અચાનક ભીડના કારણે, ઘણા લોકો નીચે પડી ગયા અને અમે ફસાઈ ગયા." મહિલાએ વધુમાં કહ્યું કે, ત્યાં ક્યાંય જવાનો કોઈ રસ્તો નહોતો. કેટલાક લોકો ધક્કામુક્કી કરવાની સાથે હસી રહ્યા હતા, જ્યારે અમે તેમને બાળકો પર દયા કરવા વિનંતી કરી રહ્યા હતા.
આ ઘટના સરકારની અસંવેદનશીલતા દર્શાવે છે : અજય રાય
January 29, 2025 10:35 am
મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે યુપી કોંગ્રેસના વડા અજય રાયે કહ્યું, 'મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે સ્નાન કરતી વખતે થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત અને ઘાયલ થવાના સમાચાર દુઃખદાયક છે.' આ દુ:ખદ ઘટના મેળાના ગેરવહીવટ અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરે છે. યોગી સરકારે બધા પૈસા ફક્ત તેના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ખર્ચ્યા, મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓ માટેની વ્યવસ્થા પર નહીં. આ આ સરકારની અસંવેદનશીલતા દર્શાવે છે. અમે સતત લોકોને આવી ઘટનાઓ વિશે ચેતવણી આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સરકાર અને વહીવટીતંત્રે કોઈ ધ્યાન આપ્યું નહીં. અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે મૃતકોના આત્માની શાંતિ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે મૃતકોને પૂરતું વળતર આપવામાં આવે અને ઘાયલોને વળતરની સાથે મફત સારવાર આપવામાં આવે.
નજીકના જિલ્લાઓમાંથી ડોકટરો મોકલવાની સૂચનાઓ
January 29, 2025 10:25 am
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને જરૂરિયાત મુજબ નજીકના જિલ્લાઓમાંથી ડોકટરોને મેળા વિસ્તારમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અખાડા પરિષદના અગ્રણી આચાર્યો સાથે વાત કરી અને સ્નાન કાર્યક્રમ સુચારું રીતે ચાલુ રાખવા સૂચનાઓ આપી છે.
સવારે 6 વાગ્યા સુધીમાં 1.75 કરોડ લોકોએ કર્યુ સ્નાન
January 29, 2025 10:07 am
28 જાન્યુઆરી સુધીના અહેવાલ મુજબ, મહાકુંભના સ્નાનમાં ભકતો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. 28 જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધીમાં 1.75 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું, જ્યારે મૌની અમાવસ્યાના અવસરે કુલ 19.94 કરોડ લોકોના સ્નાન કરવાની માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની આ ભીડને કારણે, સંગમના પાવન તટ પર સ્નાન માટે સતત ભીડ ઉમટી રહી છે.
મહાકુંભમાં લોકોના મોતના સમાચારથી પ્રેમાનંદ પુરી રડવા લાગ્યા
January 29, 2025 9:55 am
પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ સરકાર અને પોલીસ પ્રશાસન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર ઘટના પર મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું છે કે, પોલીસ ભીડના કદને સંભાળી શકી નહીં. આ પોલીસના નિયંત્રણમાં નહોતું. આ જવાબદારી સેનાને સોંપી દેવા જોઇતી હતી. તેમણે કહ્યું કે, સંતોએ શરૂઆતથી જ સરકાર પાસે આ મેળો સેનાને સોંપવાની માંગ કરી હતી. મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી સમાચાર એજન્સી ANI સાથે વાત કરતી વખતે રડી પડ્યા. તેમણે કહ્યું કે, હજુ પણ સમય છે આ મેળાને સેનાને સોંપી દેવામાં આવે.
મહાકુંભ ભાગદોડ વચ્ચે રેલવેનો મહત્વપૂર્ણ નિર્ણય, ઘણી ટ્રેનો ડાયવર્ટ
January 29, 2025 9:32 am
પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગને પગલે રેલવે વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે પ્રયાગરાજ જતી અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે આગામી આદેશ સુધી તમામ સ્પેશિયલ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પ્રયાગરાજ જંક્શન પર રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત કરવામાં આવી છે, જેથી ભક્તોની અવરજવર વ્યવસ્થિત રહી શકે.
#MahaKumbh2025 | The Railways has planned to run more than 360 trains from the various stations in the Prayagraj region today. As of now, there is no plan to cancel any special train: Ministry of Railways
— ANI (@ANI) January 29, 2025
મહાકુંભમાં શાહી સ્નાન પર નવી ગાઈડલાઈન
January 29, 2025 9:29 am
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ બાદ અખાડાઓએ મૌની અમાવસ્યાના પરંપરાગત 'અમૃત સ્નાન' રદ કર્યું હતું, પરંતુ હવે આ અંગે નવી અપડેટ સામે આવી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, અખાડાઓને સવારે 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ દરમિયાન કોઈ શોભાયાત્રા યોજાશે નહીં. આ ઉપરાંત, અખાડાઓ રાત્રે 10 વાગ્યા પછી પણ અમૃત સ્નાન કરી શકશે.
મહાકુંભમાં ભાગદોડ મુદ્દે લખનઉમાં CMની બેઠક
January 29, 2025 9:24 am
પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન થયેલી નાસભાગના મામલે લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકીદે બેઠક યોજી. બેઠક દરમિયાન તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી અને તુરંત જરૂરી પગલાં લેવા સૂચના આપી. રાજ્યના DGP પ્રશાંત કુમાર તાત્કાલિક પ્રયાગરાજ રવાના થશે, જ્યારે ADG લો એન્ડ ઓર્ડર અમિતાભ યશ પણ બેઠકમાં હાજર રહ્યા. CM યોગીએ અધિકારીઓ પાસેથી સમગ્ર પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી અને વ્યવસ્થાઓને ઝડપી અને અસરકારક બનાવવાનો નિર્દેશ આપ્યો.
Uttar Pradesh CM Yogi Adityanath is constantly monitoring the situation at Mahakumbh. Chief Secretary, DGP, Principal Secretary-Home, CM Office officials and ADG Law and Order are present in the war room set up for Mahakumbh 2025: Chief Minister's Office pic.twitter.com/4tXGqU3MW8
— ANI (@ANI) January 29, 2025
રાહત અને બચાવ કાર્ય ચાલુ
January 29, 2025 9:21 am
વહીવટીતંત્રે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને પોલીસે સમગ્ર વિસ્તારમાં વોચ વધારી દીધી છે. ભક્તોને ધીરજ રાખવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઘટના પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "જે થયું તે યોગ્ય નહોતું. 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભ ક્ષેત્રમાં આવ્યા છે. આગળ શું થશે તે જોવાનું બાકી છે. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ થવી જોઈએ. અપેક્ષા કરતાં વધુ ભીડ આવી જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે." બધા કેમ્પ ભરેલા છે, જ્યાં પણ જુઓ, તમને ફક્ત ભક્તો જ દેખાય છે. આવી સ્થિતિમાં, એવું ન કહી શકાય કે તૈયારીઓમાં કોઈ ખામી હતી."
મહાકુંભ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર સક્રિય, PM મોદીની દુર્ઘટના પર નજર
January 29, 2025 9:18 am
પ્રયાગરાજમાં મહાકુંભના અમૃત સ્નાન દરમિયાન થયેલી નાસભાગ બાદ કેન્દ્ર સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકાર સાથે કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં રહી, પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને એક જ કલાકમાં તેમણે ત્રીજી વખત રાજ્યના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. PM મોદીએ પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે તાકીદે રાહત કામગીરીની સૂચના આપી છે. કેન્દ્ર સરકારે હરસંભવ મદદની ખાતરી આપી છે, જેથી મહાકુંભમાં આવેલા ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય.
બેરિકેડિંગનો એક ભાગ પડી ગયો અને નાસભાગ મચી ગઈ
January 29, 2025 9:13 am
મળતી માહિતી મુજબ, રાત્રે 2 વાગ્યે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન બેરિકેડિંગનો એક ભાગ તૂટી ગયો અને નાસભાગ મચી ગઈ. થોડી જ વારમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ અને લોકો આમતેમ દોડવા લાગ્યા. ઘણા ભક્તોનો સામાન નીચે પડી ગયો, જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, "અમે આરામથી જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ભીડ વધવા લાગી અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. અમે દોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જગ્યા નહોતી. ઘણા લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિ એવી છે કે મને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે."
ભાગદોડની ઘટના અંગે CM યોગીની અપીલ
January 29, 2025 9:08 am
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025માં ભારે ભીડને કારણે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓને ધીરજ અને સતર્કતા જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને વહીવટીતંત્ર દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. CM યોગીએ ખાસ કરીને ભક્તોને સંગમ તરફ જવાનો પ્રયાસ ન કરવા અને નજીકના ઘાટ પર સ્નાન કરવા વિનંતી કરી છે.
Mahkumbh 2025 : ભાગદોડની ઘટના અંગે CM યોગીની અપીલ | GujaratFirst#CM #Yogiadityanath #Mahakumbh2025 #Prayagraj #KumbhMela #CrowdControl #GujaratFirst pic.twitter.com/RPs1EsfJqP
— Gujarat First (@GujaratFirst) January 29, 2025
શાહી સ્નાન પહેલા અખાડાઓ પરત ફર્યા
January 29, 2025 9:05 am
મહા નિર્વાણી અને અટલ અખાડાને સવારે 5:00 વાગ્યે સંગમ નોઝ પર સ્નાન કરવાનું હતું, અને તેમના સરઘસો પીપા પુલ પાર કરી રામ ઘાટ સુધી પહોંચ્યા, પરંતુ પછી પરત ફર્યા. મૌની અમાવસ્યાના શાહી સ્નાન પહેલા રાત્રે 2 વાગ્યે અચાનક નાસભાગ થતા સેંકડો લોકો એકબીજા પર ચઢી ગયા, જેના કારણે કેટલાક લોકોના મોત નીપજ્યા છે. તેમ છતાં, વહીવટીતંત્રે હજુ સુધી કોઈ અધિકૃત મૃત્યુની પુષ્ટિ કરી નથી.
ભક્તોને જ્યાં હોય ત્યાં સ્નાન કરવાની અપીલ
January 29, 2025 8:59 am
અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, અણધાર્યા બનાવોને ટાળવું શક્ય નથી. આજે શાહી સ્નાન ન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે મૃત આત્માઓની શાંતિ માટે માતા ગંગાને પ્રાર્થના કરી અને જણાવ્યું કે આ સ્થિતિ માટે કોઈને દોષ આપવો યોગ્ય નથી, પરંતુ સહકાર આપવો જરૂરી છે. ભીડ નિયંત્રણ અને સુરક્ષાના હિતમાં શાહી સ્નાન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ, ભક્તોને સંગમ ન જવા અને મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે જ્યાં હોય ત્યાં જ સ્નાન કરવાની અપીલ કરવામાં આવી છે.
આજનું સ્નાન ન કરવા અપીલ
January 29, 2025 8:56 am
અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે આજે થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને શાહી સ્નાન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરોડો ભક્તોના આગમનને ધ્યાનમાં રાખીને તમામને આજનું સ્નાન ન કરવા અપીલ કરવામાં આવી છે, અને હવે આગામી વસંત પંચમીએ સ્નાન યોજાશે. તેમના જણાવવા મુજબ, ગઈકાલ સાંજ સુધી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ચાલી રહી હતી, પરંતું ભારે ભીડના કારણે મુશ્કેલીઓ વધી ગઇ. તેમણે કહ્યું કે, જેમ પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે, તેમ આ મેળામાં દેશના ચારેય ખૂણાના લોકો એકત્ર થયા છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતના ભક્તોની વિશેષ હાજરી જોવા મળી છે.
Mahakumbh2025 : મહાકુંભમાં અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના | GujaratFirst#Mahakumbh2025 #Prayagraj #KumbhMela #CrowdControl #BreakingNews #GujaratFirst pic.twitter.com/0lldzxcpff
— Gujarat First (@GujaratFirst) January 29, 2025
મહાકુંભમાં શાહી સ્નાન રદ, ભીડને ધ્યાનમાં રાખી નિર્ણય
January 29, 2025 8:45 am
મહાકુંભમાં થયેલી ભાગદોડની દુર્ઘટના બાદ અખાડાઓનું શાહી સ્નાન રદ કરવામાં આવ્યું છે. મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે તમામ અખાડાના સંતો અને ઋષિઓ શાહી સ્નાન કરતા હોય છે, અને ભક્તોની સુવિધા માટે આ વખતે સવારે 4 વાગ્યે અખાડાઓ બહાર નીકળીને 5 વાગ્યા પહેલા સ્નાન શરૂ કરવાનું હતું. પણ, ભીડ સતત વધી રહેલી હોવાને કારણે અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ શાહી સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે.