PM Narendra Modi એ કહ્યું, હરિયાણાને લોકોએ ચોતરફ કમળથી પ્રફુલ્લિત કર્યું છે
PM Narendra Modi : હરિયાણાની 90 સભ્યોની વિધાનસભા બેઠકોના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. ભાજપે (BJP) પોતાના દમ પર સરકાર બનાવી છે. ભાજપે 48 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસે 36 બેઠકો જીતી છે અને 1 બેઠક પર આગળ ચાલી રહી છે. આ સિવાય INLD માત્ર 2 સીટો જીતીને સફળ રહી છે. આ સિવાય 3 સીટો અન્યના ખાતામાં છે.
PM મોદીએ નાયબ સિંહ સૈનીને ફોન કર્યો
હરિયાણામાં આજે યોજાયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પોતાની બેઠક જીતી લીધી છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કોંગ્રેસના વિનેશ ફોગટ પણ જીત્યા છે. PM મોદીએ નાયબ સિંહ સૈનીને ફોન કરીને હરિયાણામાં ભાજપની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય લાડવા વિધાનસભામાંથી જીત્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, 'હું પ્રમાણપત્ર લેવા જઈશ અને પછી જ્યોતિસર મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરીશ. હરિયાણાના 2.80 કરોડ લોકોએ આ સરકારને પસંદ કરી છે અને અમે PM મોદીના નેતૃત્વમાં આગળ વધીશું.
અમને દરેક જાતિ અને વર્ગના મત મળ્યા : PM મોદી
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ PM નરેન્દ્ર મોદી DDU માર્ગ સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. અમને દરેક જાતિ અને વર્ગના મત મળ્યા છે. BJP હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, હરિયાણામાં મળેલી જીત પાર્ટી કાર્યકર્તાઓ, જેપી નડ્ડા, CM નાયબ સિંહ સૈનીની મહેનતનું પરિણામ છે. આજે વિકાસની ગેરંટી જૂઠાણાના બંધનનો અંત આવ્યો છે. હરિયાણાના લોકોએ ઈતિહાસ રચ્યો છે. હરિયાણાની રચના 1966માં થઈ હતી. હરિયાણામાં અત્યાર સુધીમાં 13 ચૂંટણી થઈ છે, જેમાંથી 10 ચૂંટણીમાં હરિયાણાની જનતાએ સરકાર બદલી છે, પરંતુ હરિયાણાની જનતાએ આ વખતે જે કર્યું છે તે પહેલાં ક્યારેય બન્યું નથી. હરિયાણામાં 5 વર્ષનો બે કાર્યકાળ પૂરો કરીને પ્રથમ વખત સરકાર બની છે.
ભારત વિકાસના માર્ગથી હટશે નહીં : PM મોદી
PM મોદીએ આગળ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ભારત વિરુદ્ધ અનેક ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. ભારતના લોકતંત્ર અને સામાજિક માળખાને નબળું પાડવા માટે અનેક ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો અને તેમના સાથી પક્ષો આ રમતમાં સામેલ છે. આજે હરિયાણાએ આવા દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપ્યો છે. દરેક ભારતીયે સંકલ્પ લેવો પડશે કે અમે આવા કોઈ ષડયંત્રને સફળ થવા દઈશું નહીં. ભારત વિકાસના માર્ગથી હટશે નહીં. PM મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના સાથી પક્ષો પહેલાથી જ ચિંતિત હતા કે તેમને કોંગ્રેસના કારણે નુકસાન થઈ રહ્યું છે અને આજના પરિણામોએ પણ તે જ બતાવ્યું છે. તમને યાદ હશે કે ચૂંટણીના પરિણામોમાં પણ આપણે એવું જ જોયું છે. લોકસભામાં કોંગ્રેસે જીતેલી અડધી બેઠકો તેના સાથી પક્ષોને કારણે મળી હતી. આ સિવાય જ્યાં સાથી પક્ષોએ કોંગ્રેસ પર ભરોસો કર્યો ત્યાં તે સાથી પક્ષોનું જહાજ ડૂબી ગયું.
આ પણ વાંચો: Haryana Result : રાજ્યમાં ભાજપની હેટ્રિક, એકવાર ફરી જુની ટ્રિક કામમાં આવી