Parliament Special Session : PM મોદીએ પંડિત નહેરુના કર્યા વખાણ, સંસદને ગણાવ્યું તપોસ્થલી
સંસદના વિશેષ સત્ર દરમિયાન PM મોદીએ પોતાના સંબોધનમાં જે વાતો કહી તેમાં ભારતના ભવિષ્યનું ચિત્ર દેખાય છે. PM મોદીએ વર્તમાનથી અત્યાર સુધીના ભારતના ઈતિહાસને યાદ કરતા કહ્યું કે દેશે તેમને ઘણું સન્માન આપ્યું છે. સંસદ સંકુલમાં સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે, ચંદ્ર પર ત્રિરંગો લહેરાઇ રહ્યો છે. શિવ શક્તિ પોઈન્ટ પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે. ચંદ્રયાન 3 પ્રેરણાનું નવું કેન્દ્ર છે. G-20ની અભૂતપૂર્વ સફળતા, ઘણી શક્યતાઓ અને સફળતા અને ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની ગયું છે. આ સાથે તેમણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત નહેરૂને યાદ કર્યા હતા.
PM મોદીએ શું કહ્યું ?
સંસદનું વિશેષ સત્ર સોમવાર, 18 સપ્ટેમ્બર, 2023થી શરૂ થયું છે. PM મોદીએ વિશેષ સત્ર પહેલા મીડિયાને સંબોધિત કર્યું. આ પછી, PM એ પહેલા સંસદના વિશેષ સત્રને સંબોધિત કર્યું અને સંસદના જૂના દિવસો અને ભૂતપૂર્વ નેતાઓને યાદ કર્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યા અને તેમની ભરપૂર પ્રશંસા કરી. સંસદના વિશેષ સત્રમાં PM મોદી નવી સંસદ ભવન માટે ઉત્સુક જોવા મળ્યા હતા અને જૂની સંસદ ભવન માટે ભાવુક પણ જોવા મળ્યા હતા. તેમણે સંસદ ભવનની ભવ્યતાને યાદ કરી અને દેશની પ્રગતિમાં સંસદનું કેટલું યોગદાન છે તેની ચર્ચા કરી. આ દરમિયાન PM મોદીએ એવા લોકોના પણ વખાણ કર્યા જેઓ પહેલા દેશના PM પદ પર હતા.
પૂર્વ PM જવાહરલાલ નેહરુની પ્રશંસા કરી
પૂર્વ PM જવાહરલાલ નેહરુની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પૂર્વ PM ના 'સ્ટ્રોક ઓફ મિડનાઈટ'ની ગુંજ આ ગૃહમાં દરેકને પ્રેરણા આપતી રહેશે. PM એ કહ્યું કે, નેહરુજીએ બાબા સાહેબ આંબેડકરને તેમની સરકારમાં મંત્રી તરીકે સામેલ કર્યા હતા. તેઓ દેશમાં શ્રેષ્ઠ પ્રથાઓ લાવવા પર ભાર મૂકતા હતા. અત્યાર સુધી દેશને ફેક્ટરી કાયદામાં આંતરરાષ્ટ્રીય સૂચનોનો સમાવેશ કરવાનો લાભ મળી રહ્યો છે. PM એ કહ્યું કે, બાબા આંબેડકર પણ નેહરુજીની સરકાર દરમિયાન જળ નીતિ લાવ્યા હતા. PM મોદીએ પોતાના સંબોધનમાં પૂર્વ PM લાલ બહાદુર શાસ્ત્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 1965ના યુદ્ધ દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ આ જ સંસદમાંથી દેશ અને તેના બહાદુર સૈનિકોને પ્રેરણા આપી હતી. PM એ કહ્યું કે આ સંસદથી જ શાસ્ત્રીજીએ દેશમાં હરિયાળી ક્રાંતિનો પાયો નાખ્યો હતો.
સંસદને તપોસ્થલી ગણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદને સંબોધિત કરતા સંસદની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે અત્યાર સુધીના સંસદના તમામ સાંસદોને પણ નમન કર્યા હતા. તેમણે સંસદ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પહેલીવાર સંસદમાં પહોંચવાની ક્ષણ પણ યાદ કરી. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ સંસદને તપોસ્થલી ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે આપણે સંસદની અંદર આવીએ છીએ ત્યારે આપણને નાદ બ્રહ્મની કલ્પના થાય છે. PM મોદીએ કહ્યું કે, હિંદુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્થાનનો સતત એક જ લયમાં જાપ કરવામાં આવે તો તે તપોસ્થલી બની જાય છે. PM મોદીએ કહ્યું કે, અવાજમાં એવી શક્તિ હોય છે જે એક સ્થાનને સિદ્ધિ સ્થાનમાં પરિવર્તિત કરી દે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીથી લઈને અત્યાર સુધી સંસદના બંને ગૃહોમાં સાડા સાત હજાર સાંસદો છે, તેમના ઘણા શબ્દો અહીં વારંવાર ગુંજ્યા છે. આવી સ્થિતિમાં તેમના સતત ગુંજતા અવાજે આ ગૃહને તપોસ્થલી બનાવ્યું છે.
આ પણ વાંચો - જુનું સંસદ ભવન…દેશના નિર્માણની ઐતિહાસીક ક્ષણોનું સાક્ષી..!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે