MP: 'પોતાની માટે કંઇક માગવાથી પહેલા હું મરવાનું પસંદ કરીશ...' શિવરાજ સિંહ ચૌહાણે કેમ કહી આ વાત?
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ બીજેપી કોના શિરે સીએમનો તાજ પહેરાવશે તેને લઈને થઈ રહેલી ચર્ચાઓને ગઈકાલે વિરામ મળ્યો છે. પાર્ટી હાઇકમાન્ડે રાજ્યના નવા સીએમ તરીકે મોહન યાદવની પસંદગી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. જો કે, સીએમ તરીકે શિવરાજસિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને પ્રહલાદ સિંહ પટેલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓના નામ સામેલ હતા. પરંતુ, તમામ અટકળો વ્યર્થ રહી હતી.
મોહન યાદવને સીએમ જાહેર કર્યાના આગામી દિવસે એટલે કે આજે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે મોહન યાદવના નેતૃત્ત્વમાં બીજેપી સરકાર રાજ્યના વિકાસ કામો વધુ ઝડપથી પૂર્ણ કરશે. લોક કલ્યાણકારી યોજનાઓ લાગૂ કરશે અને પ્રગતિ અને વિકાસની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ વધુ નવી ઊંચાઈઓ પર પહોંચશે. શિવરાજ સિંહે વધુમાં કહ્યું કે, 'પોતાની માટે કંઇક માગવાથી પહેલા હું મરવાનું પસંદ કરીશ...એટલે જ મે કહ્યું હતું કે હું દિલ્હી જઈશ નહીં.' શિવરાજ સિંહે કહ્યું કે, તેઓ હંમેશા મોહન યાદવનો સહયોગ કરશે. મંગળવારે શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવાસ સ્થાન પર એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ વાત કહી હતી.
મોહન યાદવને અપાઈ સીએમની જવાબદારી
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 164 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 66 સીટ મળી હતી. જીત બાદ બીજેપીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની જવાબદારી મોહન યાદવને સોંપી છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય હતા અને સંઘના નજીક માનવામાં આવે છે. મોહન યાદવ શિવરાજ સિંહ સરકારમાં ઉચ્ચ શિક્ષામંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2013માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2018માં તેઓ બીજીવાર ઉજ્જૈન દક્ષિણ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા.
આ પણ વાંચો- જ્યારે વાજપેયીજીએ પ્રણવ મુખર્જીને કહ્યું, ‘આભાર,તમારા કૂતરાનો !’