જમીની સ્તરે પણ મોંઘવારી ઘટી, ડુંગળી, બટેકા, ટામેટાં , ખાદ્યતેલના ભાવમાં ધરખમ ઘટાડો
અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ
એપ્રિલમાં છૂટક ફુગાવો ઘટીને 4.7 ટકા થયો તેની અસર ગ્રાઉન્ડ લેવલ પર પણ જોવા મળી રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. એક વર્ષમાં ટામેટાં 50 ટકા સસ્તા થયા છે, ખાદ્યતેલોના ભાવ પણ નીચે આવ્યા છે. ઘઉં, ચોખા, લોટ અને કઠોળના ભાવ હજુ પણ ઉંચા રહ્યા છે.
બટાકા, ટામેટા, ડુંગળીના ભાવમાં કેટલો ઘટાડો થયો ?
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 2 જૂન, 2023ના રોજ બટાકાની કિંમત 21.33 રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક વર્ષ પહેલા 24.12 રૂપિયા હતી. ડુંગળીનો ભાવ રૂ.23.81થી ઘટીને રૂ.22.34, ચા રૂ.284.21થી ઘટીને રૂ.275.61 અને ટામેટાંનો ભાવ રૂ.52થી ઘટીને રૂ.25 પ્રતિ કિલો થયો છે.
આંકડા દર્શાવે છે કે એક વર્ષમાં મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન, ચોખાની કિંમત 36.16 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 39.49 રૂપિયા પ્રતિ કિલો, ઘઉંની કિંમત 27.51 રૂપિયાથી વધીને 29.09 રૂપિયા અને લોટની કિંમત 31.31 રૂપિયાથી વધીને 34.31 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ચણાની દાળની કિંમત 73.95 રૂપિયાથી વધીને 74.68 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અડદની દાળની કિંમત 105.09 રૂપિયાથી વધીને 110.58 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એ જ રીતે સીંગદાણાનો ભાવ રૂ.102.80થી વધીને રૂ.109.16, ખાંડ રૂ.41.75થી રૂ.42.62 અને સીંગતેલ રૂ.186થી રૂ.190 થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન મસૂર દાળ રૂ. 96.85 થી ઘટીને રૂ. 92.33 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ કિંમતો સમગ્ર દેશમાં સરેરાશ ધોરણે છે.
માર્ચમાં મોંઘવારી દર ઘટીને 5.66 ટકા થયો હતો.
છૂટક ફુગાવો ઘટી રહ્યો છે અને તે ફેબ્રુઆરીમાં 6.44 ટકાની સરખામણીએ માર્ચમાં ઘટીને 5.66 ટકા પર આવી ગયો છે. મોંઘવારી ઘટવાના કારણે આરબીઆઈએ રેપો રેટ વધારવાની પ્રક્રિયા પણ બંધ કરી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે રિટેલ મોંઘવારી દરમાં વધુ ઘટાડો થઈ શકે છે, જેના કારણે દરમાં વધારો પણ અટકી જશે.
કિંમતોમાં 49 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો
તેલ અત્યારનો ભાવ એક વર્ષ પહેલાનો ભાવ
સરસવ 146 183
વનસ્પતિ 131 165
સોયા 134 168
સૂર્યમુખી 138 192
પામ 107 156
(આંકડા પ્રતિ લિટર રૂપિયામાં)
મોંઘવારી રોકવા માટે કેન્દ્ર સરકારે કઠોળના સંગ્રહની મર્યાદા નક્કી કરી છે.
કેન્દ્ર સરકારે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, આયાતકારો અને મિલરો માટે અરહર અને અડદની દાળની સ્ટોક મર્યાદા ઓક્ટોબર સુધી નક્કી કરી છે. સંગ્રહખોરીને રોકવા અને ભારતીય આહારનો મહત્વનો ભાગ એવા આ ઉત્પાદનોની કિંમતોને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે આ સંબંધમાં આદેશ જારી કર્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં પણ આવ્યો છે.
ઓર્ડર મુજબ, જથ્થાબંધ વેપારીઓ માટે અરહર અને અડદના દરેક 200 ટન અને છૂટક દુકાનો માટે 5 ટન સ્ટોક હોલ્ડિંગ મર્યાદા નક્કી કરવામાં આવી છે. મોટા ચેઇન રિટેલર્સ તેમના ડેપોમાં 200 ટન સુધીનો સંગ્રહ કરી શકે છે. મિલોને તેમના છેલ્લા ત્રણ મહિનાના ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 25 ટકાની સંગ્રહ મર્યાદા જે વધારે હોય તે નક્કી કરવામાં આવી છે.
તેવી જ રીતે, આયાતકારોને કસ્ટમ્સ ક્લિયરન્સ પછી 30 દિવસથી વધુ સ્ટોક રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપભોક્તા સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે સંગ્રહ મર્યાદાનો આ ઓર્ડર 31 ઓક્ટોબર સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે. તમને જણાવી દઈએ કે અરહર દાળની અખિલ ભારતીય સરેરાશ કિંમત 2 જૂનના રોજ 122.68 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે એક વર્ષ પહેલા 103.25 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરતાં 19 ટકા વધુ છે. તેવી જ રીતે, આ સમયગાળા દરમિયાન અડદની દાળનો ભાવ પ્રતિ કિલો રૂ. 110.58 હતો, જે એક વર્ષ અગાઉ રૂ. 105.05 પ્રતિ કિલોગ્રામ કરતાં 5.26 ટકા વધુ છે.