AIMIM પ્રમુખને ગૃહમંત્રી અમિત શાહે લીધા આડે હાથ! કહ્યું - ઓવૈસી સાહેબ હસી રહ્યા છે, પણ..!
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બધુવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ત્રણ નવા ક્રિમિનલ કાયદા બિલ (New Criminal Law Bills) રજૂ કર્યાં હતા. આ સાથે જ લોકસભામાં ત્રણેય ક્રિમિનલ લો બિલ ધ્વનિ મત સાથે પાસ થયાં હતાં. હવે આ ત્રણેય બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ રજૂ કરતી વખતે, ગૃહ પ્રધાને હૈદરાબાદના સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) પર નિશાન સાધ્યું હતું.
માહિતી મુજબ, લોકસભામાં જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ખરડો રજૂ કરી રહ્યા હતા ત્યારે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ચહેરા પર હળવી મુસ્કાન જોવા મળી હતી. ત્યાર પછી ગૃહમંત્રી શાહે તેમને આડે હાથ લીધા હતા. શાહે કહ્યું કે, ઓવૈસી સાહેબ હસી રહ્યા છે...મેં પણ મનોવિજ્ઞાનનો થોડો અભ્યાસ કર્યો છે. તેઓના મનમાં છે કે તમે (ત્રણ કાયદા) બદલ્યાં છે. હું કહેવા માંગુ છું કે રાજદ્રોહને બદલે અમે દેશદ્રોહ બિલ લાવ્યાં છીએ.
राष्ट्रहित सर्वोपरि।#NayeBharatKeNayeKanoon pic.twitter.com/d4yb71ZSQT
— Sambit Patra (@sambitswaraj) December 20, 2023
દેશની સુરક્ષા સર્વોપરી છે: અમિત શાહ
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓવૈસી સાહેબ કટાક્ષમાં હસી રહ્યા છે. આથી હું ફરક સમજી રહ્યો છું...પરંતુ આ દેશ વિરુદ્ધ કોઈ નિવેદન ન આપી શકે અને દેશના હિતોને કોઈ નુકસાન પણ ન પહોંચાડી શકે. આ દેશના ધ્વજ, આ દેશની સરહદો અને દેશના સંસોધનોને કોઈ નુકસાન ન પહોંચાડી શકે. તેમણે કહ્યું કે, જો કોઈ આવું કરશે તો તેણે નિશ્ચિત પણે જેલ ભેગું થવું પડશે. ગૃહમંત્રીએ કહ્યું કે, આ અમારી સરકારોનો વિશ્વાસ છે કે આપણા દેશની સુરક્ષા સર્વોપરી છે. સૌથી પહેલા રાષ્ટ્ર હોવું જોઈએ. આથી અમે રાજદ્રોહને હટાવીને દેશદ્રોહનો કાયદો લાવ્યા છીએ. આ પહેલા ઓવૈસીએ લોકસભામાં ત્રણેય નવા ક્રિમિનલ કાયદા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો - ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી મામલે રાહુલ ગાંધીની આવી પ્રતિક્રિયા, કહ્યું- 100થી વધુ સાંસદ સસ્પેન્ડ છે પરંતુ..!