Gyanvapi Case : ASI સરવે રિપોર્ટ મુદ્દે સુનાવણી ટળી, હવે આ તારીખે લેવાશે નિર્ણય!
જ્ઞાનવાપી (Gyanvapi) ASI સરવે રિપોર્ટ મુદ્દે સુનાવણી ટળી છે. વારાણસી જિલ્લા કોર્ટમાં આજે આ મામલે સુનાવણી ટળી છે. હવે 3 જાન્યુઆરીએ જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જણાવી દઈએ કે, અગાઉ 18 ડિસેમ્બરે કોર્ટમાં જ્ઞાનવાપી ASI સરવે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આજે ASIના સરવેના રિપોર્ટની કોપી અંગે ચુકાદો આવવાનો હતો, પરંતુ સુનાવણી ટળી છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ અંગેનો સરવે રિપોર્ટ સીલબંધ કવરમાં જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આગામી સુનાવણી ગુરુવાર એટલે કે આજે 21 ડિસેમ્બરે નિર્ધારિત કરી હતી. જો કે, આજે વારાણસી જિલ્લા કોર્ટમાં (Varanasi District Court) સુનાવણી ટળી છે અને હવે 3 જાન્યુઆરીએ જિલ્લા કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. માહિતી મુજબ, એએસઆઈના એડિશનલ ડાયરેક્ટરે વારાણસીની જિલ્લા કોર્ટમાં જજને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. અહેવાલ અનુસાર, આ રિપોર્ટ 1500થી વધુ પાનાંનો છે, જેમાં 250 થી વધુ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
રિપોર્ટની નકલ ઉપલબ્ધ કરાવવા હિંદુ પક્ષની માગ
અગાઉ હિંદુ પક્ષના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, રિપોર્ટને જાહેર કરવામાં આવે. સાથે જ હિંદુ પક્ષે આમાં સામેલ તમામ પક્ષોને રિપોર્ટની નકલ ઉપલબ્ધ કરાવવા માટે પણ માગ કરી હતી. જો કે, મુસ્લિમ પક્ષે આનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ પક્ષે કહ્યું કે આને પબ્લિક ડોમેન પર ન લાવવામાં આવે. ત્યારે આ મામલે ચુકાદાની તારીખ 21 ડિસેમ્બર મુકરર કરવામાં આવી હતી. સાથે જ એવું પણ કહ્યું હતું કે, રિપોર્ટની નકલ 21 ડિસેમ્બરે જ તમામ પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, આજે સુનાવણી ટળી છે અને હવે આ મામલે 3 જાન્યુઆરીએ ચુકાદો આવી શકે છે. આ પહેલા ASI રિપોર્ટ જમા કરાવવા માટે બેથી ત્રણ વખત કોર્ટ પાસે સમય માગ્યો હતો.
આ પણ વાંચો - WFI Elections 2023: રાષ્ટ્રીય રેસલિંગ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે સંજ્ય સિંહ થયા નિયુક્ત