A Raja Controversy: DMK નેતા એ રાજાએ ફરી કર્યો બફાટ, કહ્યું - ‘ભારત દેશ નથી પરંતુ એક...’
A Raja Controversy: તમિલનાડુની સત્તાધારી પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતા એ રાજા તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે એકવાર ચર્ચામાં રહેતા હોય છે. DMKના નેતાએ તેમના તાજેતરના નિવેદનમાં ફરી એકવાર તમિલ રાષ્ટ્રનો રાહ છેડ્યો છે. DMKના નેતા એ રાજાએ કહ્યું, ‘તમિલ, મલયાલમ અને ઉડિયા ભાષાઓ અને તમિલનાડુ, કેરળ અને ઓરિસ્સા રાષ્ટ્રો છે... ભારત દેશ કે રાષ્ટ્ર નથી, પરંતુ એક ઉપ-મહાદ્વીપ છે.'
જાણો એ રાજાએ વિવાદિત નિવેદનમાં શું કહ્યું?
એક રાજાએ ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો અને તેમના નિવેદનમાં કહ્યું, ‘ભારત ક્યારેય એક રાષ્ટ્ર નહોતું. રાષ્ટ્ર એટલે એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ. ભારત એક રાષ્ટ્ર નથી, પરંતુ ઉપખંડ છે.’ પોતાની વાત સમજાવતા ડીએમકે નેતાએ વધુમાં કહ્યું કે અહીં તમિલ એક ભાષા છે અને તમિલનાડુ એક દેશ છે. મલયાલમ એક ભાષા છે અને કેરળ એક રાષ્ટ્ર છે. ઉડિયા પણ એક ભાષા છે અને ઓરિસ્સા એક દેશ છે. આ તમામ રાષ્ટ્રો મળીને ભારત બનાવે છે, તેથી ભારત એક રાષ્ટ્ર કે દેશ નથી, પરંતુ તે એક ઉપખંડ છે.
તમિલનાડુની પણ એક સંસ્કૃતિ છેઃ એ રાજા
વધુમાં વાત કરવામાં આવે તો એ રાજાએ ભારતના રાજ્યોની અલગ અલગ સંસ્કૃતિઓની પણ વાત કરી હતું. પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, ભારતમાં ઘણી બધી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે. તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાંની એક સંસ્કૃતિ છે. દિલ્હીમાં સંસ્કૃતિ અલગ છે. ત્યાં કેરળમાં પણ એક સંસ્કૃતિ છે અને ઓરીસામાં પણ એક સંસ્કૃતિ છે.
એ રાજા બીફને લઈને પણ આપ્યું નિવેદન
એ રાજાએ વધુમાં કહ્યું કે, મણિપુરમાં કુતરાનું મીટ ખાવામાં આવે છ, કેમ? હા તેઓ ખાય છે, તે સંસ્કૃતિ છે. તેમાં કોઈ ખરાબ બાબત નથી. આ બધું આપણાં મગજમાં છે. કાશ્મીરમાં અલગ સંસ્કૃતિ છે. તેને તમારે માનવું પડશે. જો કોઈ સમુદાય બીફ ખાય છે, તો તમને શું સમસ્યા છે? તેમણે તમને ખાવાનું કહ્યું છે? અનેકતામાં એક્તા છે. આપણે બધા અલગ છીએ. આ વાતને બધાએ માની લેવી જોઈએ.
DMK નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરવામાં આવે તો એ રાજાએ શનિવારે (3 માર્ચ) તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના જન્મદિવસ પર કોઈમ્બતુરમાં આયોજિત મીટિંગમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું. DMK નેતાનું વિવાદાસ્પદ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડીએમકેના મંત્રી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તમામ કેસને એકસાથે જોડવાની વાત કરી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે સોમવારે (4 માર્ચ, 2024) સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અરજદાર (ઉદયનિધિ) કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ એક રાજકારણી છે, તેમને પરિણામોનો અહેસાસ થવો જોઈએ. તમને જણાવી દઈએ કે, ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરી હતી. જે બાદ દેશના ઘણા રાજ્યોમાં સ્ટાલિન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ઉધયનિધિએ સુપ્રીમ કોર્ટને આ તમામ કેસને એકસાથે જોડવાની માંગ કરી હતી.