Bharatiya Nyaya Sanhita: લોકસભામાં ક્રિમિનલ લૉ બિલ પાસ, જાણો... તેને સંલગ્ન જોગવાઈઓ
લોકસભા દ્વારા ફોજદારી કાયદા સંબંધિત ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા છે. આ પહેલા 20 ડિસેમ્બરે આ બિલ પર ચર્ચા થઈ હતી. ત્યારે આ નવા કાયદામાં આતંકવાદ, મહિલાઓ વિરુદ્ધ અપરાધો, દેશદ્રોહ અને મોબ લિંચિંગ સંબંધિત નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યા છે જ્યારે 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી 97 સાંસદો લોકસભાના છે, જ્યારે 46 રાજ્યસભાના છે.
મહિલાઓ સામેના અત્યાચાર અંગે જોગવાઈ
બિલમાં હવે ગેંગ રેપના કેસમાં 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે. આ સિવાય ખોટા વચનો આપીને અથવા ઓળખ છૂપાવીને શારીરિક સંબંધ બાંધવો પણ હવે ગુનાની શ્રેણીમાં સામેલ થશે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય જાતીય હિંસાના કેસમાં માત્ર મહિલા ન્યાયિક મેજિસ્ટ્રેટ જ નિવેદન નોંધશે. પીડિતાનું નિવેદન તેના ઘરે મહિલા પોલીસ અધિકારીની સામે નોંધવામાં આવશે. નિવેદન નોંધતી વખતે પીડિતાના માતા/પિતા અથવા વાલી હાજર રહી શકે છે.
રાજદ્રોહનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો
સરકારે રાજદ્રોહ જેવા કાયદા રદ કર્યા છે. આ સિવાય બિલમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની જોગવાઈ છે. તેમજ હવે આજીવન કેદની સજાને 7 વર્ષની કેદમાં બદલી શકાશે.
આતંકવાદ અંગે જોગવાઈઓ
ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યા સાથે તેને સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. તેના કારણે આતંકવાદી કોઈપણ કાયદાની છટકબારીનો લાભ લઈ શકશે નહીં.
મોબ લિંચિંગ કાયદો
આ બિલમાં મોબ લિંચિંગ પર કડક કાયદાની નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આ બિલમાં મોબ લિંચિંગની ઘટનાઓ માટે આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દેશના ત્રણ રાજ્યોમાં કોરોનાના નવા વેરિઅન્ટએ વધારી ચિંતા, જાણો કેટલા કેસ નોંધાયા