Odisha: ઓડિશામાં બની મોટી દુર્ઘટના, મહાનદીમાં 50 લોકો ભરેલી બોટ પલટતા 7 ના મોત
Odisha, Mahanadi: ઓડિશાના ઝારસુગુડા (Jharsuguda)માં કાલે શુક્રવારે મોટી દુર્ઘટના બની હતી. અહીં મહાનદીમાં મહિલાઓ અને બાળકો સહિત 50 જેટલા મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ગુમ થયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ઘટનામાં 7 લોકોના મોત થયાના સમાચાર
મળતી વિગતો પ્રમાણે આ ઘટના ઝારસુગુડાના લખનપુર બ્લોક હેઠળ સારદા પાસે મહાનદીમાં બની હતી. અહીં એક બોટ બાળકો અને મહિલાઓને લઈને જઈ રહી હતી. નોંધનીય છે કે, કોઈ કારણસર બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી જતાં ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. ચારેય બાજુ રડવાનો અને ચીસોનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક માછીમારોને પણ ઘટનાની જાણ થઈ હતી. જેથી સ્થાનિક માછીમારોએ તાત્કાલિક તેમના સ્તરેથી બચાવના પ્રયાસો શરૂ કર્યા હતા.
પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
આ મામલે વિગતો આપતા ડીજી ફાયર સુધાંશુ સારંગીએ જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સ્કુબા ડાઇવર્સની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીની અંદર કેમેરા સાથે બે નિષ્ણાત સ્કુબા ડાઇવર મોકલવામાં આવ્યા હતા. બચાવ માટે ભુવનેશ્વરથી એક ટીમ ઝારસુગુડા મોકલવામાં આવી હતી. જેથી વહેલી તકે બચાવ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.
માછીમારોએ 40 લોકોનો જીવ બચાવ્યો
ઘટના સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, બરગઢ જિલ્લાના બાંધીપાલી વિસ્તારમાં બોટ મુસાફરોને લઈને જઈ રહીં હતી. જ્યારે બોટ પલટી ત્યારે કેટલાક સ્થાનિક માછીમારો ત્યા હાજર હતા. જેમણે સાહસ કરીને 40 જેટલા લોકોને બચાવી લીધા હતા. રેસ્ક્યુ ટીમને ગુમ થયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે.