Agra : ફતેહપુર સિકરીના સ્મારક પર લાકડાની રેલિંગ તૂટી, ફ્રેન્ચ મહિલા પ્રવાસીનું મોત
આગરાના ફતેહપુર સિકરીમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે, જ્યાં રેલિંગ પરથી પડીને એક ફ્રેન્ચ મહિલા પ્રવાસીનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને એસએન મેડિકલ કોલેજ અને આગરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસની તપાસ શરૂ કરી છે.
આ બાબતે ASI અધિક્ષક પુરાતત્વવિદ્ રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે ફતેહપુર સિકરી કિલ્લાની અંદર ખ્વાબગાહ સ્મારક પાસે તુર્કી સુલતાના પેલેસમાં ફ્રેન્ચ પ્રવાસીઓનું એક જૂથ સેલ્ફી લઈ રહ્યું હતું, ત્યારે લાકડાની રેલિંગ તેમના સંયુક્ત વજનને કારણે તૂટી ગઈ હતી. તમામ પ્રવાસીઓ પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યા હતા પરંતુ એક 60 વર્ષની મહિલા લગભગ 9 ફૂટની ઊંચાઈથી પથ્થરના ફ્લોર પર પડી હતી અને બેભાન થઈ ગઈ હતી.
રેલિંગ પરથી પડી જતાં ફ્રેન્ચ મહિલા પ્રવાસીનું મોત
રાજકુમાર પટેલે જણાવ્યું કે સ્મારક પર હાજર ASI કર્મચારીઓએ તરત જ 108 નંબર ડાયલ કર્યો અને ઈમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી. પરંતુ એમ્બ્યુલન્સને આવવામાં સમય લાગ્યો હતો. સ્થળ પર હાજર કેટલાક માર્ગદર્શકોએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા અડધો કલાક સુધી ઘાયલ અવસ્થામાં ત્યાં પડી રહી. ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
20 કિલોમીટર દૂરથી એમ્બ્યુલન્સ બોલાવવી પડી
એક સ્થાનિક ટૂર ગાઇડે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જે રેલિંગ તૂટી ગઈ હતી તે કોવિડ-19 પછી લગાવવામાં આવી હતી અને તે ઘણા મહિનાઓથી ઢીલી પડી હતી, જેના કારણે તે પ્રવાસીઓના વજનને સંભાળી શકતી ન હતી અને તૂટી ગઈ હતી. આ સિવાય ગાઈડે જણાવ્યું કે ફતેહપુર સીકરીમાં કોઈ એમ્બ્યુલન્સ નથી. જ્યારે દર મહિને સેંકડો પ્રવાસીઓ અહીં આવે છે. લગભગ 20 કિલોમીટર દૂર કિરાવલીથી એમ્બ્યુલન્સ બોલાવવી પડી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જો મહિલાને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત.
આ પણ વાંચો : India-Canada Tension: કોંગ્રેસ સાંસદ બિટ્ટુએ કહ્યું, કેનેડા એ જ કરી રહ્યું છે જે પહેલા પાકિસ્તાન કરતું હતું.